વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દિવસનો ગુજરાત પ્રવાસ મોકુફ, વરસાદની સ્થિતિને ધ્યાને રાખી નિર્ણય
ભારે વરસાદને કારણે એક દિવસનો પ્રવાસ સ્થગિત કરાયો છે. ગિફ્ટ સીટી અને હિંમતનગરનો પ્રવાસ મુલતવી રખાયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ ફરી 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જો કે તેમનો 15 જુલાઈનો ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat visit) મોકુફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા વડાપ્રધાનનો એક દિવસનો ગુજરાત પ્રવાસ સ્થગિત રાખવામાં આવ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સીટી અને હિંમતનગરનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે.
વડાપ્રધાનનો એક દિવસનો પ્રવાસ સ્થગિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત એક પછી એક ગુજરાતના પ્રવાસ યોજાઇ રહ્યા છે. બે દિવસ પહેલા એટલે કે 4 જુલાઇએ જ ગાંધીનગરના મહાત્મા મંદિરથી તેમણે ડિજિટલ સપ્તાહનું આયોજન કર્યુ હતુ. તેઓ ફરી 15 અને 16 જુલાઈએ ફરી ગુજરાત પ્રવાસે આવવાના હતા. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 15 જુલાઇનો એક દિવસનો ગુજરાત પ્રવાસ સ્થગિત રાખવામાં આવ્યો છે. વડાપ્રધાનના 15 અને 16 જુલાઇ દરમિયાન કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાવાનું આયોજન હતુ. જો કે તેમનો નવો કાર્યક્રમ હવે ટુંક સમયમાં ફરીથી જાહેર કરવામાં આવશે.
15 જુલાઇનો ગાંધીનગર, હિંમતનગરનો હતો કાર્યક્રમ
વડાપ્રધાન મોદીનો 15 જુલાઇના રોજ ગાંધીનગરમાં GIFT સિટીમાં કાર્યક્રમ હતો. GIFT સિટીની શરુઆત ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવી હતી. જે પછી આખો નવો યુગ શરુ થયો છે. વડાપ્રધાન ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેવાના હતા. તો બીજી તરફ 15 જુલાઇએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાવાનો હતો. હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના હતા.જો કે વરસાદના કારણે તેમનો આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો.
વડાપ્રધાન ચૂંટણી પહેલા દર મહિને ગુજરાત પ્રવાસ કરશે
ગુજરાત PMO તરફથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઇને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનુ માર્ગદર્શન આપતા રહેશે.
આ પહેલા વડાપ્રધાન મોદી 4 જુલાઇએ ગાંધીનગરમાં એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે મહાત્મામંદિર ખાતેથી વડાપ્રધાન (PM Modi) ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો (Digital india week) દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકી. તો આ પહેલા 10 જુનના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા. અમદાવાદ અને નવસારીમાં તેમણે કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ.
વડાપ્રધાન મોદી તેના પહેલા 11 માર્ચે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની શરુઆત કરાવી હતી. સાથે જ ખેલ મહાકુંભનો (Khel Mahakumbh)પ્રારંભ કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પછી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેઓ 18થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે સાંજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમો કર્યા હતા.