દશેરાના દિવસે જ ઘોડો ન દોડ્યો, પંચમહાલમાં નદીના પ્રવાહમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા ગયેલી બોટ ચાલુ જ ન થઈ, જુઓ Video
પંચમહાલની કરાડ નદીમાં બ્રિજ નિર્માણ દરમિયાન JCB સહિત બે યુવકો ફસાયા હતા. ચાર કલાકથી વધુ સમય વીત્યા છતાં ફાયર બ્રિગેડની ટીમ પેટ્રોલ વગર પહોંચતા રેસ્ક્યુ કાર્ય અટવાયું.

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે કાલોલ તાલુકાના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદીમાં એક ગંભીર ઘટના બની હતી. નદી પર બની રહેલા બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન JCB મશીન સાથે બે યુવકો નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. JCBના ચાલક અને સહચાલક બંને છેલ્લા ચાર કલાકથી વધુ સમયથી નદીના વચ્ચે સળિયાના સહારે બેસીને મદદની રાહ જોઈ રહ્યા હતા.
ગત મોડી રાત્રે પંચમહાલ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના પગલે કરાડ નદીમાં પાણીનું વહેણ એકાએક વધી ગયું હતું. આ દરમિયાન બ્રિજ બનાવી રહેલા શ્રમિકો JCB લઈને ત્યાં ગયા હતા અને પાણીના પ્રવાહમાં તણાઈને ફસાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તંત્રને થતાં કાલોલ મામલતદાર, તાલુકા પંચાયતના પ્રમુખ અને સ્થાનિક સરપંચ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કાલોલ અને હાલોલ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે સમી સાંજે પહોંચી હતી.
જોકે, બચાવ કામગીરી શરૂ થાય તે પહેલાં જ એક અત્યંત શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ બાબત સામે આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન માટે આવેલી ફાયર બ્રિગેડની ટીમ પેટ્રોલ વગર જ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આવી બેદરકારીભરી કામગીરી થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. બોટ ચાલુ કરવા માટે પેટ્રોલ ન હોવાથી રેસ્ક્યુ કામગીરી અટકી પડી હતી. એટલું જ નહીં, ફાયર બ્રિગેડનો જે સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો તેમાંથી મોટાભાગના કર્મચારીઓ એપ્રેન્ટિસશીપ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું, જેને કારણે બોટ કેવી રીતે ચાલુ કરવી તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો હતો.
આ સ્થિતિમાં સ્થાનિક લોકોએ આગળ આવીને પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. સ્થાનિકો પેટ્રોલ લેવા દોડ્યા અને વ્યવસ્થા કરવામાં લાગી પડ્યા હતા. પરંતુ પેટ્રોલ આવ્યા બાદ પણ ફાયરની બોટ ચાલુ થઈ શકી નહોતી. જેના કારણે ફાયર ટીમે બચાવ કામગીરી બાજુ પર મૂકીને બોટ ચાલુ કરવામાં સમય વેડફ્યો હતો. આ ઘટનાને ‘દશેરાના દિવસે ઘોડા ન દોડ્યા’ જેવી સ્થિતિ તરીકે વર્ણવવામાં આવી હતી.
સ્થાનિકો દ્વારા પેટ્રોલની વ્યવસ્થા કરાયા બાદ બોટ શરૂ કરવાનો પ્રયાસ થયો છે અને હવે ટૂંક સમયમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ થશે તેવી આશા હતી. જોકે, અંધારું થઈ જતાં હવે કયા પ્રકારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાય છે તે જોવું મહત્વનું બનશે. આ યુવકો નદીના પ્રવાહ વચ્ચે સળિયાના સહારે બેઠા છે. આ ઘટનાએ ફાયર બ્રિગેડની સજ્જતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકોના જીવની સુરક્ષા કેવી રીતે થશે તે એક ચિંતાનો વિષય બન્યો છે.
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
