ફરી સહાયની પ્રતીક્ષામાં ખેડૂત! દક્ષિણ ગુજરાતમાં પૂરના કહેરમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને વારંવાર આવતા પૂરે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માત્ર એક સપ્તાહમાં બે વાર પૂર આવ્યું.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને વારંવાર આવતા પૂરના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માત્ર એક સપ્તાહમાં બે વખત પૂર આવતાં ખેડૂતોના ઊભા પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. હજુ તો પહેલા બે પૂરના પાણી ઓસર્યા ન હતા અને નુકસાનનો સર્વે ચાલી રહ્યો હતો, ત્યાં 15 દિવસમાં ત્રીજી વખત ભયાવહ પૂર આવતા ખેડૂતો માથે હાથ દઈને રડવા માટે મજબૂર બન્યા છે. આ કુદરતી આફતે હજારો ખેડૂતોને ઊંડા સંકટમાં ધકેલી દીધા છે.
નવસારી જિલ્લો તેની ફળદ્રુપ જમીન અને વિવિધ પ્રકારના પાકો માટે “ખેતીવાડીનું નંદનવન” તરીકે ઓળખાય છે. અહીં શાકભાજીથી માંડીને રોકડિયા પાકો, આંબાવાડીઓ, ચીકુવાડીઓ અને કેળ જેવી મોટા પાયે ખેતી થાય છે. જોકે, આ પૂરના કારણે આ તમામ પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને, ડાંગર અને શેરડી જેવા મુખ્ય પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ પટ્ટીમાં આવેલા વાડી વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોને અકલ્પનીય આર્થિક ફટકો પડ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, નવસારી જિલ્લાના કુલ 366 ગામોમાંથી 320 ગામોમાં ખેતીવાડીને થયેલા નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. જોકે, ત્રીજા પૂરના કારણે આ સર્વેની કામગીરીને પણ અસર પહોંચી છે. જે વિસ્તારોમાં સર્વે થઈ ગયો હતો, ત્યાં પણ ફરીથી નુકસાન થતાં નવેસરથી સર્વે હાથ ધરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. રાજ્ય સરકારે હજુ સુધી પૂરથી પ્રભાવિત ખેડૂતો માટે કોઈ વચગાળાનું સહાય પેકેજ જાહેર કર્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ અને નિરાશા જોવા મળી રહી છે.
ઘણા ખેડૂતો તો ડાંગરનો પાક વાવી જ શક્યા ન હતા, અને જેમણે વાવ્યો હતો તેમનો પાક અતિવૃષ્ટિ અને પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને તેઓ ભવિષ્ય અંગે ચિંતિત છે. તેઓ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક વચગાળાનું સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ ફરીથી ઊભા થઈ શકે અને પોતાની ખેતીની પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે.
3 દિવસમાં બીજી વખત વંદે ભારત બની જીવનદાતા
