Breaking News : સાગબારાના ખેડૂતોના વન જમીન મુદ્દે મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી
નર્મદા જિલ્લાના સાગબારાના ખેડૂતોના વન જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળી છે અને હવે વસાવા વનમંત્રી સાથે પણ બેઠક કરશે. આ બેઠકો બાદ ખેડૂતોને તેમના હક્કની જમીન મળે તેવી આશા સેવાઈ રહી છે.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોનો વન જમીનનો મુદ્દો હવે રાજ્યના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી ચૂક્યો છે. આશરે દસ દિવસથી ચાલી રહેલો આ વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને જમીન ખેડવા માટે આહ્વાન કર્યું હતું, જેના પગલે ફોરેસ્ટ અધિકારીઓએ તેમને રોક્યા હતા. આ ઘટના બાદ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે, સરકારી કાર્યક્રમોને ટાળીને, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ખોપી ગામના ખેડૂતો સાથે ધરણા પર બેસીને પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો.
આખો દિવસ ચાલેલા આ ધરણા પ્રદર્શન બાદ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. સાંસદ મનસુખ વસાવા જે દિલ્હી જવાના હતા, તેમણે અચાનક પોતાનો કાર્યક્રમ બદલીને સીધા ગાંધીનગરનો પ્રવાસ કર્યો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સાંસદ મનસુખ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ વસાવાએ સાગબારાના આદિવાસી ખેડૂતોના વન જમીન ખેડાણ અને તેમના હક્ક સંબંધિત તમામ રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃતપણે રજૂ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસદ વસાવાની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. આ બેઠક બાદ એક સંભવિત નિવાળો એવો સામે આવ્યો છે કે, આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે મનસુખ વસાવાને હવે વન વિભાગ સાથે બેઠક કરવી પડશે.
આ પરિસ્થિતિમાં ઉમરપાળાના ખેડૂતોના ઉદાહરણને ટાંકવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતોને ખેતી કરવા દેવામાં આવે છે, જ્યારે સાગબારાના ખેડૂતોને તે જ પ્રકારની જમીન પર ખેતી કરવા દેવામાં આવતી નથી. સૂત્રો અનુસાર, જો ઉમરપાળાના ખેડૂતો દ્વારા કોઈ ઠરાવ કરવામાં આવે, તો સાગબારાના ખેડૂતોને પણ ખેતી કરવા દેવામાં આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ સાંસદ મનસુખ વસાવા હવે રાજ્યના વનમંત્રી સાથે પણ મુલાકાત કરશે. આ બેઠકમાં સાગબારાના ખેડૂતોને જંગલ જમીન ખેડાણ અને તેમના કાયદેસરના હક્કો સાથે જોડાયેલા પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
ખેડૂતો લાંબા સમયથી પોતાની જમીન પર ખેતી કરવાનો અધિકાર માંગી રહ્યા છે, અને આ નવી ગતિવિધિઓથી તેમનામાં આશા જાગી છે કે તેમની સમસ્યાનું વહેલી તકે સકારાત્મક નિરાકરણ આવશે. નર્મદા, સાગબારા અને આદિવાસી ખેડૂતોના આ મહત્વપૂર્ણ મુદ્દા પર સરકારના આગામી પગલાં પર સૌની નજર ટકેલી છે.
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ પર AIUએ ઝડપી પાડ્યો
