સોળે કળાએ ખીલ્યો નર્મદા જિલ્લો, ‘મિની કાશ્મીર’ બન્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પ્રવાસીઓનો ધસારો વધ્યો
ચોમાસાની (Monsoon 2022) ઋતુમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભૂત હોય છે. તેમાં પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આજુબાજુના સાતપુડાના પહાડો અતિ રમણીય લાગે છે.
સમગ્ર રાજ્યમાં મેઘમહેર (Monsoon 2022) યથાવત જોવા મળી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદના પગલે ગુજરાતના (Gujarat) કેટલાક વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસાદ પછી આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે નયન રમ્ય નજારાઓ જોવા મળી રહ્યા છે. રમણીય વાતાવરણ સર્જાતા પ્રવાસીઓનો ધસારો પણ અહીં વધી રહ્યો છે.
સોળે કળાએ ખીલ્યો નર્મદા જિલ્લો
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. 43 ટકા વનવિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લો વરસાદ બાદ સોળે કળાએ ખિલી ઉઠયો છે. કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા મોટી સંખ્યામાં પ્રકૃતીપ્રેમીઓ સહિતના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ડુંગરોએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. ઝરમર વરસાદ વચ્ચે અહીંની પ્રકૃતિ અદભુત જોવા મળી રહી છે.
સાતપુડાના પહાડો બન્યા લીલાછમ
ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભૂત હોય છે, અને તેમાં પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આજુબાજુના સાતપુડાના પહાડો અતિ રમણીય લાગે છે. વરસાદના કારણે ચોમાસાની સીઝનમાં ડુંગરો લીલાછમ બની ગયા છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરીમાળાઓ વચ્ચે બનેલું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને ત્યાંથી દેખાતો નર્મદા ડેમ સૌ કોઈને આકર્ષી રહ્યો છે. આ કુદરતી સૌંદર્ય મિની કશ્મીરની યાદ અપાવી જાય છે. ત્યારે આ સુંદરતા માણવા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ખાસિયત
ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. લગભગ 5000 મેટ્રિક ટન લોખંડ, 3000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ અને 33 મહિનાના ટૂંકાગાળામાં આ સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવ્યું છે. સાધુ બેટ પર બનાવેલી એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ પછી સતત પ્રવાસીઓને આકર્ષી રહી છે.
અહીં વિશ્વ વન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, એકતા ઓડિટોરિયમ, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, ભારત વન, ફેરી સર્વિસીઝ, જંગલ સફારી, એકતા મોલ જેવા અનેક ફરવા લાયક સ્થળો છે. જે પર્યટકો માટે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.