સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લઈને અમદાવાદ-ગાંધીનગર પહોચ્યું ચોમાસુ, ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગ-અંબાલાલ પટેલની આગાહી
સમગ્ર સૌરાષ્ટ્ર અને અમદાવાદ-ગાંધીનગર સુધી નૈઋત્યનુ ચોમાસુ આજે 3 જુલાઈને શુક્રવારે પહોંચી ગયું છે. સક્રિય થયેલ કેટલીક વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ અને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. જાણો ગુજરાતમાં બારેય મેઘ ખાંગા થાય તેવી કઈ કઈ વરસાદી સિસ્ટમ આકાર પામી છે ?

ગુજરાતમાં આ વર્ષે મોડુ બેઠેલ નૈઋત્યનુ ચોમાસુ આજે 3 જુલાઈના રોજ સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લઈને અમદાવાદ-ગાંધીનગર સુધી પહોચી ગયું છે. ગુજરાતમાં વરસાદ વરસાવે તેવી વરસાદી સિસ્ટમ આજુબાજુના પ્રદેશમાં સક્રિય હોવાથી, અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી છે.
આ સિસ્ટમ ધોધમાર વરસાદ વરસાવશે
બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના નજીકના દરિયાકાંઠા પર એક લો પ્રેશર આકાર પામ્યું છે. તેના કારણે ઉપલા ટોપોસ્ફેરિક સ્તરે સાયક્લોનિક સરક્યુલેશન પણ બનેલ છે. જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકેલ છે. આગામી બે દિવસમાં આ સિસ્ટમની ગતિવીધી વધુ સ્પષ્ટ થવાની સંભાવના છે.
નીચલા ટોપોસ્ફેરિક સ્તરે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી લઈને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધીના સમગ્ર વિસ્તારમાં ચોમાસુ ટ્રર્ફ અને લો પ્રેશરની સ્થિતિ આકાર પામેલ છે. તેની સાથે સાથે શેરય ઝોન ઉપલા અને નીચલા ટોપોસ્ફેરિકની વચ્ચે છે. તો રાજસ્થાન તરફ વધુ એક વરસાદી સિસ્ટમ આકાર પામેલ છે તેનાથી ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીને કારણે આગામી બે દિવસ સુધી વરસાદનું જોર યથાવત્ રહી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આવતીકાલ 4 અને પરમદિવસે 5 જુલાઈ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત આવતીકાલ સાંજ સુધીમાં પણ બંને શહેરોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે.
આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આગાહી અનુસાર વડોદરા, ભરૂચ, મહીસાગર અને સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના
પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે કેટલીક નાની નદીઓ અને સ્થાનિક જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના પણ નકારી શકાય નહીં.
8 જુલાઈએ ફરી સક્રિય થઈ શકે નવી સિસ્ટમ
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી હવામાન પ્રણાલી સક્રિય થઈ શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા છે.
નર્મદા નદીના જળસ્તર પર પણ નજર
મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી તાજી માહિતી પર સતત નજર રાખવી જરૂરી છે.
