ઊંઝા APMC ફરી એકવાર વિવાદમાં, કરોડોના કૌભાંડના આક્ષેપો સાથે ભાજપ નેતાઓ આમને સામને
ઉંઝા APMC થોડા સમય અગાઉ સેસ કૌભાંડના ચકડોળે ચડ્યું હતું. ત્યારે હવે સિક્યુરિટીના ટેન્ડરમાં કૌભાંડ અને ડિરેક્ટરના પુત્રને ત્રણ ત્રણ ઇંક્રીમેન્ટ અને બઢતીના આક્ષેપો થયા છે.
Mehsana: એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ઉંઝા APMC ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. થોડા સમય અગાઉ કરોડોના સેસ કૌભાંડના (Scam) આક્ષેપોને કારણે ઉંઝા APMC ચર્ચાના ચગડોળે ચઢ્યું હતું. તો હવે ઉંઝા APMC પર સિક્યુરિટીમાં એક કરોડનું કૌભાંડ અને ડિરેક્ટરના દીકરાને કર્મચારી તરીકે 3 ઇંક્રીમેન્ટ અને ખોટી રીતે બઢતી અપાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. નોંધનીય મુદ્દો એ છે કે, આક્ષેપો કરનાર અને જેની પર આક્ષેપો કરાયા છે બંને ભાજપના નેતા અને આગેવાનો છે. એટલે કે ઉંઝા ભાજપમાં જ જાણે જંગ છેડાયો છે.
ઉંઝા APMC થોડા સમય અગાઉ સેસ કૌભાંડના ચકડોળે ચડ્યું હતું. ત્યારે હવે સિક્યુરિટીના ટેન્ડરમાં કૌભાંડ અને ડિરેક્ટરના પુત્રને ત્રણ ત્રણ ઇંક્રીમેન્ટ અને બઢતીના આક્ષેપો થયા છે. આ આક્ષેપો બીજા કોઈ નહી પણ ઉંઝાના ભાજપના જ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ ઉર્ફે નારાયણ કાકાએ લેખિતમાં કર્યા છે. નારાયણ કાકાએ આ મુદ્દે લેખિતમાં મુખ્ય પ્રધાન અને રાજ્યના સહકાર મંત્રીને લેખિતમાં રૂબરૂ જઇને રજુઆત કરી છેકે, ઉંઝા APMCમાં સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં વર્ષ 2020-21માં એક કરોડ બે લાખ ચૂકવવામાં આવ્યા હતા. તો વર્ષ 2021-22 માં ડબલ એટલે કે રૂપિયા 2 કરોડ 4 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે APMC ના ગેટ હતા એટલા જ છે. એટલે કે ખોટા ઈસમો ઊભા કરી ખોટી હાજરી પુરવામાં આવી છે. જેથી 7 વર્ષના સિક્યુરિટીના ટેન્ડરો તપાસવા પણ માંગ કરી છે. સિક્યુરિટી કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ઓફિસર પર કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. તો બીજી તરફ ઉંઝા APMC ના ખેડૂત વિભાગમાંથી ચુંટાયેલા અમૃતભાઈ મુલચંદભાઈ પટેલના દીકરા દિનેશ પટેલ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. જેનો તા.12.08.2021 ના રોજ ક્લાર્કમાંથી ઓફિસર તરીકે બઢતી આપવાનો ઠરાવ કરાયો હતો. ઉપરાંત ત્રણ ત્રણ ઇંક્રીમેન્ટ આપવાનો પણ ઠરાવ કરેલ છે. પરંતુ જ્યારે કોઈ ડિરેક્ટરનુ પદ ચાલુ હોય ત્યારે તેની સાથે લોહીનો સંબંધ ધરાવનારને આ પ્રકારનો લાભ આપી શકાતો નથી. તાજેતરમાં અમૂલ ડેરીના ડિરેક્ટરે તેના દીકરાને નોકરી ઉપર રાખતા ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ કરાયા હતા. તેવી રીતે અમૃતભાઈ મૂળચંદ ભાઈ પટેલને પણ ડિરેક્ટર પદેથી દૂર કરવા તેમજ તેમના પુત્ર દિનેશને અપાયેલ ઇન્કરીમેન્ટ સહિત પદોન્નતિના તમામ લાભ પરત ખેંચવા નારાયણ પટેલે સીએમને લેખિત રજૂઆત કરી છે.
નારાયણ પટેલના આ લેખિત આક્ષેપો મુદ્દે ઉંઝા APMCના ચેરમેનનો સંપર્ક કરતા તેઓએ આ તમામ આક્ષેપો નકારતા જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 અને 2021-22 દરમ્યાન કોરોના કાળ હતો. જે સમયે ઉંઝા APMC સિવાય પણ જ્યાં સિક્યુરિટીની જરૂર પડી ત્યાં CSR અંતર્ગત સમાજ સેવાના ભાગ રૂપે સેવા અપાઈ છે. APMC ઉપરાંત સિવિલ હોસ્પિટલ હોય કે કોવિડ કેર સેન્ટર હોય. આવી અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ઊઝા APMC એ પૂરી પાડી છે. એટલે સ્વાભાવિક છે કે કોરોના કાળ દરમ્યાન ખર્ચમાં પણ વધારો થાય. તો ડિરેક્ટરના પુત્રને ઇંક્રીમેન્ટ અને બઢતી મુદ્દે જણાવ્યું હતું કે, દિનેશ પટેલ નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલના ચેરમેન સમયનો કર્મચારી છે. અને ત્યારથી અત્યાર સુધી તેને મળતા લાભોથી તેને વંચિત રખાયો હતો. જે તેને મળવાપાત્ર હક્ક તેને અપાયો છે. અને અન્ય કર્મીઓને પણ મળવાપાત્ર હક્કો અપાય પણ છે. આ બંને વિષય ઉપજાવેલા અને ખોટા આક્ષેપો છે.
આમ, ઉંઝા APMCમાં કૌભાંડના આક્ષેપો કરનાર ભાજપના આગેવાન નારાયણ પટેલ અને ભાજપના આગેવાન દિનેશ પટેલ બંને વચ્ચે હવે રાજકારણ ગરમાયું છે. એટલે કે ભાજપના જ બે આગેવાનો વચ્ચે રાજકીય જંગ જામ્યો છે. હવે જોવું એ રહ્યું કે સમગ્ર મુદ્દે નારાયણ પટેલ દ્વારા કરાયેલી સીએમને રજૂઆત સંદર્ભે કોઈ પગલા કે કાર્યવાહી થાય છે કે પછી ભાજપના આગેવાન અને ઉંઝા APMCના ચેરમેન દિનેશ પટેલનુ શાસનમા કોઈ ભ્રષ્ટાચાર થયો નહી હોવાનું સાબિત થાય છે એ જોવું રહ્યું. ત્યારે મહત્વનો મુદ્દો એ છે કે, ભાજપ પક્ષમાં નારાયણ પટેલ કે પછી દિનેશ પટેલ બેમાંથી કોનું જોર વધુ ચાલે છે એ ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.
આ પણ વાંચો :Panchmahal : યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું
ઉનાળામાં તમારો સ્માર્ટફોન વધારે ગરમ થઈ જાય છે ? ટ્રાય કરો આ 6 સરળ ટિપ્સ