ગુજરાત મહિલા આયોગના લીલાબેન અંકોલિયાના અધ્યક્ષ સ્થાને મહીસાગરના બાકોર ખાતે “આત્મનિર્ભર ગ્રામયાત્રા”નો સમાપન સમારોહ યોજાયો
Atmanirbhar GramYatra : યોજનાઓનો ગામે ગામે સંદેશ પહોંચાડી જન જાગૃતિની આહલેક જગાડી આવેલા "આત્મ નિર્ભર ગ્રામ યાત્રા" ના રથને મહિલા આયોગના ચેરમેન સહિત મહાનુભાવોએ કુમ કુમ અક્ષત પુષ્પહારથી વધાવ્યો હતો.
MAHISAGAR : આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત તા.18 મી નવેમ્બરથી તા.20 મી નવેમ્બર સુધી યોજાયેલી રાજયવ્યાપી આત્મનિર્ભર ગ્રામ યાત્રા (Atmanirbhar GramYatra) ના ભાગરૂપે અંતિમ ચરણમાં આજે ખાનપુર તાલુકાની શ્રી કે.એમ દોશી હાઇસ્કૂલ બાકોર પાંડરવાડા ખાતે ગુજરાત રાજય મહિલા આયોગના ચેરમેનલીલાબેન અંકોલિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી,માજી ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, અગ્રણી પ્રદિપસિંહ રાઠોડ, ખાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ડી.આર.ડી.એ. ડાયરેકટર કલ્પેશ પાટીદાર, પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ સરસ્વતીબેન જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સહિત પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આત્મ નિર્ભર ગ્રામયાત્રા સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
યોજનાઓનો ગામે ગામે સંદેશ પહોંચાડી જન જાગૃતિની આહલેક જગાડી આવેલા “આત્મ નિર્ભર ગ્રામ યાત્રા” ના રથને મહિલા આયોગના ચેરમેન સહિત મહાનુભાવોએ કુમ કુમ અક્ષત પુષ્પહારથી વધાવ્યો હતો તેમજ આંગણવાડીના બાળકોને સુખડીનું વિતરણ કરી દિપ પ્રાગટય સાથે ત્રિ દિવસીય યાત્રાના સમાપન સમારોહનો શુભારંભ કરાવ્યો હતો.
મહિલા આયોગના ચેરમેને સરકારના આત્મનિર્ભર ગ્રામ યાત્રાના સુચારૂ આયોજન અને જન કલ્યાણલક્ષી વિચારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ ત્રિ દિવસીય યાત્રા થકી સરકારશ્રીના વિવિધ વિભાગોની અનેકવિધ યોજનાઓની માહિતી લોકો ઘર આંગણે જ મેળવીને વ્યક્તિ પોતે સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બને તે દિશાના પ્રયાસો સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી દરેક વ્યક્તિ સાચી અને સમયસર માહિતી મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓની માહિતી પ્રદર્શિત કરવાની સાથે લોકોજાગૃતિ કેળવવામાં આવી રહી છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિએ જાતે જાણકારી મેળવી જાગૃત થવાની સાથે પોતે આત્મનિર્ભર બને તે દિશામા સરકારશ્રીના પ્રયાસોમાં સહભાગી બનવા લીલાબેન અંકોલિયાએ ખાસ અનુરોધ કર્યો હતો.
મહિલા આયોગના ચેરમેન સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગના 30 લાભાર્થીઓને રૂપિયા 2.17 લાખના, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત 105 લાભાર્થીઓને 5.5 લાખના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 વ્યક્તિગત સહાયના 10.20 લાખના, મિશન મંગલમ યોજના અંતર્ગત 25 લાભાર્થીઓને 80 હજારના, મનરેગા યોજનાના 2 કામોના ખાતમૂહર્ત અને 25 લોકાર્પણ સહિત 25.40 લાખના તેમજ પશુપાલન વિભાગના 5 લાભાર્થીઓને 1.8 લાખના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અંતર્ગત 9 લાભાર્થીઓને રૂ.6750 મળી 45.39 લાખની સહાય વિતરણ કરવામાં આવી હતી.
સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, તા. 18 મી ના રોજ રાજ્યવ્યાપી પ્રારંભાયેલી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આજે ત્રીજા દિવસે સમાપન છે, જે મહીસાગર જિલ્લાની 28 જિલ્લા પંચાયતની બેઠકોને આવરી લઇને તમામ ગામોમા આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા દ્વારા સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. તેની સાથો સાથ આ યાત્રાનો સહુ કોઇએ પૂરેપૂરો લાભ લઈને આત્મનિર્ભર બનવા અને વિવિધ યોજનાઓનો લાભ લેવાની સાથે જરૂરીયાતમંદ લોકોને પણ આ યોજનાઓનો લાભ અપાવીને આદર્શ અને આત્મનિર્ભર ગામ બનાવવાની સાથોસાથ આપણો તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.
આ પણ વાંચો : VADODARA : દુષ્કર્મ અને અત્મહત્યા કેસમાં રેલ્વે પોલીસે યુવતી સહિત 6 લોકોના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
આ પણ વાંચો : VALSAD : વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ