શું જવાહર ચાવડા કોંગ્રેસમાં કરશે ઘરવાપસી ? સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ચાવડાએ હટાવ્યુ ભાજપનું ચિહ્વ- VIDEO
પૂર્વ કેબિનેટ મંત્રી અને જુનાગઢના માણાવદરથી ભાજપના ધારાસભ્ય રહેલા જવાહર ચાવડા નવા જૂની કરે તેવા સંકેત મળી રહ્યા છે. જવાહર ચાવડાએ તેમના સોશિયલ મીડિયા પર એકાઉન્ટમાંથી પોતાના નામની આગળ રહેલુ ભાજપનું ચિહ્ન તેમણે હટાવી દીધુ છે.
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જુનાગઢના માણાવદરથી ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રીય જણાઈ રહ્યા છે. તાજેતરની લોકસભાની ચૂંટણીની સાથે યોજાયેલી માણાવદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓ કોઈ પ્રચારકાર્યમાં જોડાયા ન હતા અને તદ્દન નિષ્ક્રય રહ્યા હતા. હાલ ચાવડાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમના નામની આગળથી ભાજપનું ચિહ્ન હટાવી દેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
ભાજપમાંથી જવાહર ચાવડાનો થયો મોહભંગ!
જવાહર ચાવડાએ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વીડિયો પણ જારી કર્યો છે. જેમા તેઓ એવુ જણાવી રહ્યા છે કે મારી એક અલગ ઓળખ છે, મારી ઓળખ પર ભાજપે ઓળખ બનાવી છે. પોતાની કામગીરી ગણાવતા ચાવડાએ જણાવ્યુ કે 6 જિલ્લાના 21 તાલુકામાં અભિયાન ચલાવ્યુ. 75 હજારથી વધુ પરિવારોને BPLનો લાભ અપાવ્યો છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરથી હારી ગયા બાદ જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં જતા રહ્યા છે. ચર્ચાઓ એવી પણ છે કે ભાજપના જ કેટલાક દિગ્ગજો દ્વારા તેમને સાઈડલાઈન કરી દેવાયા છે.
શું જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરશે ?
જો કે આ અંગે ક્યારેય તેમણે સ્પષ્ટ રીતે મગનું નામ મરી નથી પાડ્યુ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે તેમને તેમની પાર્ટીના કેટલાક અસંતુષ્ટો દ્વારા સહકાર ન મળ્યો અને તેમને હરાવવામાં તેમનો હાથ છે. આ બાદ લોકસભા ચૂંટણી સમયે ભાજપના ઓપરેશન લોટસ અંતર્ગત માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ થઈ ગયા અને પેટાચૂંટણીમાં પણ તેમને જ ટિકિટ આપવામાં આવી. ત્યારે પણ ચાવડા સામે એવો આક્ષેપ થયો હતો કે તેઓ પક્ષવિરોધી પ્રવૃતિ કરી રહ્યા છે અને જવાહર ચાવડાના પુત્ર દ્વારા લાડાણીને હરાવવા માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાંકલ કર્યાની લાડાણીએ પક્ષ પ્રમુખને પત્ર લખીને ફરિયાદ કરી હતી. આ તમામ પરિબળોને જોતા છેલ્લા ઘણા સમયથી એ ચર્ચાઈ રહ્યુ હતુ કે જવાહર ચાવડા કંઈક નવા જૂની કરશે. જો કે ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરશે કે કેમ તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ કોંગ્રેસના નેતા હિરા જોટવાએ જણાવ્યુ કે જો જવાહર ચાવડા કોંગ્રેસમાં પરત આવવા માગતા હોય તો તેમને જરૂરથી ગમશે. કોંગ્રેસ પાર્ટી જરૂરથી તેમને આવકારશે.