Junagadh: ઘેડ પંથક થયો જળ બંબાકાર, લોકોના ઘરોમાં અને ખેતરોમાં ભરાયા પાણી, લાખોના નુકસાનની ભીતિ
Junagadh: કેશોદનો ઘેડ પંથક દર ચોમાસાની જેમ આ વર્ષે પણ જળબંબાકાર બન્યો છે અને નદીઓના પાણી ગામમાં ઘુસી જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતરો પણ જળમગ્ન બન્યા છે.
દર વર્ષની જેમ આ ચોમાસાએ પણ જુનાગઢના કેશોદનો ઘેડ (Ghed)પંથક જળબંબાકાર થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ (Heavy Rain)ને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે ખેડૂતો પાકમાં નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ (Water Logging) જતા ખાસ કરીને મગફળીના પાકને પણ ભારે નુકસાન જવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
ઓઝત અને ભાદર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
જુનાગઢ સહિત સમગ્ર પંથકમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઓઝત નદી અને ભાદર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ નદીઓમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાતા પૂરના પાણી ઘેડ પંથકના ગામોમાં ઘુસ્યા છે જેમા અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ છે અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ઓઝત, ભાદર અને ઉબેર નદીઓના પાણી ગામમાં ઘુસ્યા
ઘેડ પંથક નીચાણવાળો વિસ્તાર છે, અહીં ઓઝત, ભાદર અને ઉબેર સહિતની ત્રણેય નદીઓના પાણી ઘેડ પંથકમાં જાય છે જેના કારણે દર વર્ષે ઘેડમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાય છે. આ અંગે તંત્રને ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે. જેમા નદીઓ ઉંડી કરવાની અને નદીઓમા પાળા વધુ ઉંચાઈએ બાંધવાની અનેકવાર માગ કરાઈ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી અને દર વર્ષે ચોમાસાએ પૂરના પાણી ગામમાં અને ખેતરોમાં ફરી વળે છે અને લોકોને પારવાર નુકસાની સહન કરવાનો વારો આવે છે.
ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જૂનાગઢ