ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા ‘મૃત્યુંજય’
અમદાવાદમાં આજે મૃત્યુંજય નવલકથાનું લોન્ચીંગ કરાયું હતું. આ નવલકથા ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર છે.
અમદાવાદમાં આજે મૃત્યુંજય નવલકથાનું લોન્ચીંગ કરાયું હતું. આ નવલકથા ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર છે. જાપાનની રોશોમોન કથનશૈલીનું અનુસરણ કરીને લખાયેલી આ નવલકથા મૂળ પાંચ ભાગની ‘મહા-અસુર’ નવલકથા-શ્રેણીનો પહેલો ભાગ છે, જેને બે પરખ ભટ્ટ અને રાજ જાવિયા દ્વારા સાથે મળીને લખવામાં આવી છે. આજે શિવરાત્રીના પર્વે 8.45 કલાકે વાર્તાલાપનું બાદ ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર ભવ્ય ગાંધીએ મૃત્યુંજય નવલકથાનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’નો આસ્વાદ સર્વપ્રથમ વખત પ્રેક્ષકોને મળ્યો હતો.
મૃત્યુંજય નવલકથાનો કથાપ્રવાહ બે ટાઈમલાઈનમાં એકસાથે આગળ વધે છે. સતયુગ અને 21મી સદીના પ્રકરણો વારાફરતી મૂકીને લેખકોએ અહીં બે નરેટિવ ઊભા કર્યાં છે, જેમાં એક બાજુ સૃષ્ટિની શરૂઆત છે. દેવાસુર સંગ્રામ અને કેટલાક અલૌકિક રહસ્યોની વાત કરવામાં આવી છે તો બીજી બાજુ 21મી સદીના પ્રકરણોમાં એક ગૂઢ અને કલ્પનાતીત રહસ્યની ખોજમાં નીકળી પડેલાં યુવકની વાત આલેખવામાં આવી છે. દુબઈ અને સોમનાથની પૃષ્ઠભૂમિ પર આકાર લેતી મૃત્યુંજય એક રિસર્ચ-બેઝ્ડ નવલકથા છે, જેના માટે બંને લેખકોએ દુબઈ અને સોમનાથની વ્યક્તિગત મુલાકાતો લીધી છે.
જિમાની ખીણ, અલ-કુસૈસના મકબરા, ઉમ્મ-સુકૈમ સંસ્કૃતિના ખંડિત અવશેષો, દુબઈ મ્યુઝિયમ સહિત દુબઈના અનેક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો પર જઈને તેના કેટલાક ઓછા જાણીતા તથ્યો આ નવલકથાના માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, વેરાવળ-સોમનાથના કેટલાક મહત્વના સ્થળો જેમકે, સોમનાથ મ્યુઝિયમ, ગીતા મંદિર, ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ, રામ મંદિર, પાંડવ ગુફા, બલરામ ગુફા વગેરેની મુલાકાતો પણ ફિલ્ડ-રિસર્ચ દરમિયાન સામેલ કરવામાં આવી હતી. નવી પેઢી અને નવા ગુજરાતી વાચકો સુધી એક માર્મિક તથા અર્થસભર સંદેશો પહોંચાડવા માટે લેખકો દ્વારા લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને 11 કર્મકાંડી બ્રાહ્મણોના સંયુક્ત પ્રયાસો થકી પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ આયોજીત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કરોડો કમાવવા છતાં રહે છે તેના જૂના મકાનમાં આ BJP નેતા, 38 વર્ષની વયે પણ છે Unmarried