Gujarat Rain Breaking News : ડીપ ડિપ્રેશન હવે ડિપ્રેશનમાં ફેરવાતા આંશિક રાહત છતા ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદ સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસાવનારી સિસ્ટમ ડિપ ડિપ્રેશન, ઓરિસ્સાથી ગુજરાત આવતા આવતા નબળી પડી છે. ડિપ ડિપ્રેશન હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સિસ્ટમ ગુજરાતમાં રહે ત્યા સુધી વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશર સ્વરુપે સક્રીય રહેશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ તો રહેશે પરંતુ અનરાધાર, બારે મેઘ ખાંગા થાય તેવો વરસાદ નહીં રહે તેમ હવામાન વિભાગના અધિકારીઓનું માનવું છે.

ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્ય પર એકસાથે પાંચ અલગ-અલગ વરસાદી સિસ્ટમો સક્રિય છે, જેના કારણે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, ડીપ ડિપ્રેશન હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં તેની તીવ્રતામાં ઘટાડો નોંધાયો છે. આમ છતા, આ સિસ્ટમ હજુ પણ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને આગામી સમય દરમિયાન તે વધુ નબળી પડી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદ તો પડશે જ પરંતુ ડિપ ડિપ્રેશન સિસ્ટમમાં જે વરસાદ પડવાની ગણતરી કે ધારણા હતી એટલી માત્રામાં નહીં વરસે.
અમદાવાદ સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત નર્મદા અને સુરત જિલ્લામાં અસામાન્ય ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
પાંચ સિસ્ટમના કારણે વરસાદી માહોલ
હાલ રાજ્યમાં વરસાદ માટે નીચેની પાંચ સિસ્ટમ જવાબદાર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
- ડિપ્રેશન
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
- શિયર ઝોન
- મોન્સૂન ટ્રફ
- અન્ય સક્રિય વરસાદી પરિબળો
આ તમામ સિસ્ટમો એકસાથે સક્રિય હોવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે.
આગામી સાત દિવસ વરસાદી માહોલ
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી-નાળાઓમાં પાણીની સપાટી વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સમુદ્રમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
