જનતાના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારના કાદવમાં હોમાયા ! અધિકારીઓએ કાગળ પર ‘વિકાસ’ બતાવ્યો અને જમીન પર ‘વિનાશ’
એક તરફ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા અને બીજીબાજુ માત્ર 5 મહિનામાં જ આ દાવાઓની પોલ ખુલી ગઈ છે. વાત એમ છે કે, 5 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા તળાવની હાલત માત્ર પાંચ જ મહિનામાં ખરાબ થઈ ગઈ છે. તળાવના પથ્થરો ઉખડવા લાગ્યા છે અને દિવાલોમાં પણ હલકી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાનું દેખાઈ રહ્યું છે.

એક તરફ વિકાસના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા અને બીજીબાજુ માત્ર 5 મહિનામાં જ આ દાવાઓની પોલ ખુલી ગઈ છે. વાત એમ છે કે, સુરતના ઓલપાડમાં ફરી એકવાર ભ્રષ્ટાચારની બૂમરાણ જોવા મળી છે, જ્યાં દેલાડ ગામે તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આરોપ લાગ્યા છે.
રિપોર્ટમાં ખૂલી ગઈ ‘પોલ’
ગ્રામ પંચાયતના સભ્યએ તળાવની કામગીરીની ગુણવત્તા તપાસવા માટે રિપોર્ટ કરાવ્યા હતા, જેમાં કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરતના ઓલપાડના દેલાડ ગામે માત્ર 5 મહિના અગાઉ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) દ્વારા કરોડોના ખર્ચે નવ-નિર્મિત તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે, રૂ. 5.17 કરોડના મસમોટા ખર્ચે બનેલા આ તળાવની કામગીરીમાં ટૂંકાગાળામાં જ ભ્રષ્ટાચારની બૂમરાણ મચી ગઈ છે.
વિકાસના નામે ‘લૂંટ’
સ્થાનિકોનો આક્ષેપ છે કે, તળાવના નિર્માણમાં મસમોટું બજેટ ફાળવવામાં આવ્યું હોવા છતાં અત્યંત હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચારના પરિણામે તળાવના પેવર બ્લોક અત્યારથી જ ઉખડવા લાગ્યા છે અને તળાવ ફરતે બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ (દિવાલ) માં પણ નબળી ઈંટોનો વપરાશ થયો હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.
પંચાયત સભ્યના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડ અંગે કલેક્ટરને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે, જે સંદર્ભે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
