02 ઓક્ટોબરના મહત્વના સમાચાર : 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ.. આવતીકાલે ભરાશે ઉમેદવારી ફોર્મ…4 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી
Gujarat Live Updates આજ 02 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 02 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરતઃ રાવણ દહન કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કરી જાહેરાત
સુરતઃ રાવણ દહન કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે જુદા જુદા કેસમાં પકડાયેલા ડ્રગ્સનો નાશ કરાશે. જુદા-જુદા કેસમાં પકડાયેલા ડ્રગ્સનો નાશ કરાશે આવતીકાલે ભરૂચના દહેજમાં ડ્રગ્સનો નાશ કરવામાં આવશે. 442 કેસમાં પકડાયેલા ડ્રગ્સનો નાશ કરાશે. 8 હજાર કિલો ડ્રગ્સને બાળવામાં આવશે. કુલ 381 કરોડની કિંમતનું ડ્રગ્સ નષ્ટ કરાશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડ્રગ્સનો નાશ કરાશે
-
કચ્છઃ ગાંધીધામમાં રાવણનું પૂતળુ થયું ધરાશાયી
કચ્છઃ ગાંધીધામમાં રાવણનું પૂતળુ થયું ધરાશાયી થયુ. ભારે પવન અને વરસાદ ફૂંકાતા રાવણનુ પૂતળુ ધરાશાયી થયુ છે. જમીન પર પડેલી હાલતમાં જ રાવણનું દહન કરવુ પડ્યુ છે. ટૂંકમાં આ વખતે લોકો રાવણનું દહન કરે તે પહેલા જ મેઘરાજાએ જ રાવણની તવાઈ બોલાવી. મઘેરાજાએ અનેક જગ્યાએ રાવણને ભીંજવી ભીંજવી પછાડયો. જો કે ગાંધીધામમાં ધરાશાયી થયેલા રાવણનું પણ દહન કરાયુ હતુ.
-
-
ગુજરાતના 104 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ
રાજ્યના 104 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં હાલ ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે જુનાગઢમાં મેઘરાજાએ જમાવટ કરી છે. અને વંથલી તાલુકામાં પોણા 3 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. મેંદરડામાં 2.24 ઈંચ અને જુનાગઢ શહેરમાં 1.57 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં 1.57 ઈંચ અને કચ્છના અંજારમાં 1.46 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
-
વડોદરા: શહેરમાં ફરી ધોધમાર વરસાદ પડ્યો
વડોદરા: શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. દશેરાની સાજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વરસાદના કારણે રાવણના પૂતળાને રેઈનકોટ પહેરાવ્યો હતો. કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાને પણ રેઈનકોટ પહેરાવ્યો હતો. વડોદરા શહેરના રસ્તા પાણી-પાણી થયા છે. હજુ આગામી બે દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે.
-
ઝેરી દવા ગટગટાવેલા દંપતીનો અમદાવાદ પોલીસે બચાવ્યો જીવ
અમદાવાદની બોપલ પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરીને એક પરિવારને નવજીવન આપ્યું છે.. પોલીસની ત્વરિત કાર્યવાહી અને માનવતાભર્યા વલણે એક પરિવારને તૂટતા બચાવ્યો. મોડી રાતે પેટ્રોલિંગ દરમિયાન બોપલ પોલીસને દેવદર્શન એપાર્ટમેન્ટ પાસે રસ્તા કિનારે એક સ્ત્રી આક્રંદ કરતા જોવા મળી. તેની બાજુમાં 11 વર્ષનો પુત્ર રડી રહ્યો હતો અને ખોળામાં તેનો પતિ બેભાન હાલતમાં પડ્યો હતો.પત્ની પણ બેભાન થવાની અવસ્થામાં જ હતી. અને ત્યાં એક બાળકે ોલીસ પાસે જઈને સમગ્ર વાત કરી . પતિ-પત્નીએ ઘરમાં ઝઘડો થતાં ઝેર પીધું હતું અને ઘરની બહાર નીકળી ગયા હતા. આ વાતની જાણ થતા જ બોપેલ પોલીસની ટીમે વિલંબ કર્યા વિના દંપતીને ઊલટી કરાવી. બંનેને બેભાન અવસ્થામાંથી સ્થિર કરી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડૉક્ટરોએ પણ કહ્યું કે, દંપતીને સમયસર સારવાર મળતાં જીવ બચી ગયા છે. ઉલ્લેખનીય છે, કોઇના દુઃખની આવી ક્ષણમાં… ઘણીવાર લોકો અવગણના કરતા હોય છે….ત્યારે બોપલ પોલીસએ સાચા અર્થમાં “જનરક્ષક” અને “જીવરક્ષક” બનીને સેવાના સૂત્રનું સાચું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
-
-
સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મૂલચંદ, માળોદ, ખેરાળી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સતત બે દિવસ વરસાદથી ખેડૂતોનો પાક ભગડવાની ભીતિ છે.
-
વડોદરામાં બેફામ કાર ચાલકે પોલીસ સાથે કરી ઝપાઝપી
વડોદરામાં નવરાત્રીના છેલ્લા દિવસે રાત્રે મકરપુરા પોલીસ સ્ટેશન પાસે ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસીંગભાઈ દલીયાભાઈ ભવન્સ સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા. આ ઘટના દરમિયાન એક લેન્ડ રોવર ફ્રીલેન્ડર ગાડીના ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવન્સ સ્કૂલ સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો. દરિમયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઈકને ટક્કર મારી હતી. પોલીસે જ્યારે કાર રોકી તો પોલીસ સાથે ઝપાઝપી કરી.પહેલા ગાડીમાંથી ઉતરતા સમયે પોલીસને ગાળો આપી.
-
રાજકોટની સ્કૂલમાંથી ગુમ થયેલા બાળકો જુનાગઢમાં મળી આવ્યા
રાજકોટની સ્કૂલમાંથી ગુમ થયેલા બાળકો જુનાગઢમાંથી મળી આવ્યા. જુનાગઢના ST કંટ્રોલ રૂમમાંથી રાજકોટના ત્રણ વિદ્યાર્થી મળી આવ્યા. ધોળકિયા સ્કૂલમાંથી ત્રણ બાળકો ગુમ થયા હતા. શાળામાં શિક્ષકે ઠપકો આપતા બાળકો નીકળી ગયા હતા. બાળકો વહેલા નીકળી ગયા છતાં વાલીઓને જાણ નહોંતી કરાઈ. બાળકો ઘરે ન આવતા વાલીઓએ શાળામાં પહોંચી તપાસ કરી હતી. પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સ્કૂલની બેદરકારીના આક્ષેપ સાથે કડક પગલાં લેવાની માગ કરી હતી. તમામ બાળકો હેમખેમ મળી આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો.
બાળકો જુનાગઢા ST ડેપો પર જતા ત્યાં મેનેજરને શંકા ગઈ હતી કે બાળકો એકલા ઘરેથી આવ્યા છે. જેથી તેઓએ તાત્કાલિક બાળકોની પૂછપરછ કરીને વાલીઓનો સંપર્ક કરી પોલીસને પણ સમગ્ર મામલે જાણ કરતા પોલીસની ટીમે ત્યાં પહોંચી વીડિયો કોલ પર બાળકોની વાલીઓ સાથે વાતચીત કરાવી હતી. તો વાલીઓએ શાળા સામે આક્ષેપો કરી તપાસની માગ કરી છે.
-
વાવ થરાદ જિલ્લાનો આજથી થયો શુભારંભ
વાવ થરાદ જિલ્લાનો આજથી શુભારંભ થયો છે. 413 ગામો સાથે વાવ થરાદ જીલ્લાનો પ્રારંભ થયો છે. સરદાર સરોવર નિગમના એડમિન બ્લોકમાં કલેક્ટર કચેરી, થરાદ DYSP કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી અને થરાદ તાલુકા કચેરીમાં જિલ્લા પંચાયત કચેરીનો આરંભ થયો છે
વાવ થરાદ જિલ્લાના પ્રારંભ સાથે નવા રચાયેલા ધરણીઘર અને રાહ તાલુકાના તાલુકા મથકે મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીનો પણ શુભારંભ થયો છે. વડુ મથક ઢીમા ખાતેથી 44 ગામો સાથે ધરણીધર તાલુકાનો પ્રારંભ થયો છે તો વડુ મથક રાહ ગામેથી 32 ગામો સાથે રાહ તાલુકાનો પણ પ્રારંભ થયો છે.
-
અરવલ્લીઃ મોડાસાના મુલોજ ગામે ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
અરવલ્લીઃ મોડાસાના મુલોજ ગામે ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાં વાવેલા ગાંજાના છોડ શોધી કઢાયા હતા. ખેતરમાં કપાસની આડમાં ગાંજાનું કર્યું વાવેતર કર્યુ હતુ. ટીંટોઈ પોલીસ અને SOGએ સંયુક્ત ઑપરેશન હાથ ધર્યુ હતુ. ગાંજાના લીલા છોડ સાથે ખેતર માલિકની ધરપકડ કરવામાં આવી છે.
-
બહુચરાજીમાં માતાજીને પહેરાવવામાં આવ્યો કરોડોની કિંમતનો નવલખો હાર
શક્તિપીઠ બહુચરાજીમાં દશેરા નિમિત્તે માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજીત 300 કરોડથી વધુની કિંમતનો હાર મા બહુચરાજીને પહેરાવ્યા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ. મુખ્ય મંદિરથી આ યાત્રા સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા નીકળી. જ્યાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું આ ભવ્ય મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે વર્ષ 1783માં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં માતાજીને નીતનવીન શણગાર કરવાની પ્રથા ગાયકવાડ સમયથી ચાલી આવે છે, પણ આ તમામમાં નવલખો હારનું સ્થાન સર્વોપરી છે. આ હાર પણ વર્ષો પહેલાં માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી દર વર્ષે દશેરા અને બેસતા વર્ષે આ હાર માતાજીને પહેરાવવાની પરંપરા અવિરત ચાલી રહી છે અને માતાજીની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો પણ જોડાય છે.
-
વલસાડમાં કાર ધોવા જતા કાર નદીમાં ફસાઈ ગઈ
વલસાડઃ વડખંભા ગામની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નદીમાં કાર ધોવા જતા કાર નદીમાં ફસાઈ ગઈ હતી. કાર અને કારચાલકને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. નદીના પટમાં કાર ઉતારતા કાર ફસાઈ ગઈ હતી.
-
મહીસાગરના ભાદરોડ ગામે ગ્રામસભામાં મારામારી
મહીસાગરના ભાદરોડ ગામે ગ્રામસભામાં મારામારીની ઘટના સામે આવી છે. સરપંચ અને તેના પુત્રએ એક વ્યક્તિ પર હુમલો કર્યો. પૈસાની બાબતે એક વ્યક્તિ પર હુમલો કરાયો હતો. ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા હુમલો કર્યો હતો.
-
રાજકોટઃ ઉપલેટામાં ભારે વરસાદથી વેણું 2 ડેમ છલકાયો
રાજકોટઃ ઉપલેટામાં ભારે વરસાદથી વેણું 2 ડેમ છલકાયો છે. જેના પગલે બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા. સતત પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે વેણું 2 ડેમના પટમાં લોકોને ન જવા માટે અપીલ કરાઈ છે. 1500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
-
રાજકોટ: આટકોટના ગુંદાળા ગામે મગફળીની ચોરી
રાજકોટ: આટકોટના ગુંદાળા ગામે મગફળીની ચોરી કરી છે. રોડ પરના ખેતરમાંથી મગફળીના પાથરાની ચોરી કરવામાં આવી છે. રોડ પરના ખેતરમાંથી મગફળીના પાથરાની ચોરી છે. ખેડૂતોને આટકોટ ખેડૂતે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે 2 શખ્સોની અટકાયત કરીને કાર્યવાહી કરી છે. આરોપીઓના ઘરેથી મગફળીના પાથરા મળી આવ્યા.
-
પંચમહાલઃ સ્ટેટ મોનિટરિંગ સેલે બોલાવ્યો સપાટો
પંચમહાલઃ સ્ટેટ મોનિટરિંગ સેલે બોલાવ્યો સપાટો બોલાવતા ગોધરાના ચાંચપુર ગામેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા પાડીને કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ફાર્મ હાઉસમાં દરોડા પાડીને કાર્યવાહી કરી. કુલ 1 કરોડ 44 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સ્થળ પરથી એક આરોપી અને સગીર ઝડપાયો છે. દરોડા દરમિયાન 13 આરોપી ફરાર થયા છે.
-
બનાસકાંઠામાં નવા બનેલા હડાદ તાલુકાનું અમલીકરણ શરૂ કરાયુ
આજે દશેરા અને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના સુભગ સન્મવય પર બનાસકાંઠા જિલ્લાને નવા તાલુકાની ભેટ મળી છે. દાંતા તાલુકામાંથી હડાદને નવો તાલુકો જાહેર કરાયા બાદ આજે ગાંધીજયંતિના દિવસે હડાદ તાલુકાનું અમલીકરણ શરૂ કરાયું છે. આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકામાં 186 ગામડાઓનો સમાવેશ થાય છે જેમાં 74 ગામ અને 19 પંચાયત સાથે હડાદને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. આજે ગાંધી જયંતિના દિવસે હડાદ તાલુકા મથકે દાંતાના મદદનીશ કલેકટર, મામલતદાર, TDO સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં હડાદ ખાતે મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીને ખુલ્લી મુકવામાં આવી.
-
4 ઓક્ટોબરે ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ
ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખ મળી જસે. આવતીકાલે નવા પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાશે. ભાજપ પ્રદેશ પરિષદના 292માંથી 10 કાર્યકરો ટેેકેદાર બનશે. જે તે ઉમેદવારની સાથે 10 ટેકેદારો પણ ફોર્મ ભરશે. 4 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી હાથ ધરાશે. નવા ચૂંટાનારા પ્રદેશ પ્રમુખ બિનહરીફ જ થશે. પ્રદેશ પ્રમુખ માટે લેવાઈ છે OBC, SC, ST નામોની સેન્સ
-
વડોદરા: નવરાત્રિના છેલ્લા દિવસે મારામારીનો બનાવ
વડોદરા: નવરાત્રિના છેલ્લા દિવસે મારામારીનો બનાવ સામે આવ્યો છે. અંકોડિયા રોડ પાસે 4 શખ્સોએ બાઇક ચાલકને ઢોર માર માર્યો, ચાલુ બાઈકે લાત મારીને યુવકને નીચે પાડ્યો. ચાલુ બાઇકે લાત મારીને યુવકને નીચે પાડ્યો. યુવકને રોકીને શખ્સોએ લાફાવાળી કરી, કોઈ યુવતના નામને લઈને બબલા થઈ હોવાની માહિતી સામે આવી છે. લક્ષ્મીપુરા પોલીસને જાણ થતા કાર્યવાહી કરતા એક સગીર સહિત 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
-
દરિયામાં બનેલી સિસ્ટમને કારણે અનેક જગ્યાઓએ વરસાદની આગાહી
દરિયામાં બનેલી સિસ્ટમને કારણે અનેક જગ્યાઓએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં યલો એલર્ટ કરાયુ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદની આવવાની શક્યતા છે. માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
-
મહીસાગરઃ ગ્રામસભામાં ભારે હોબાળો થયો
મહીસાગરઃ ગ્રામસભામાં ભારે હોબાળો થયો. મોટા ખાનપુર ગામમાં ગ્રામસભા હંગામેદાર બની. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય કાળુ માલીવાડે તલાટીનો ઉધડો લીધો હતો. સરકારી કર્મચારી હાજર ન રહેતા હોવાનો અને કર્મચારીઓ રેકર્ડ ન નિભાવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. તો તો બીજી તરફ તલાટીએ ત્રણ પંચાયતનો ચાર્જ હોવાથી કાના ભારણનું કારણ આગળ ધર્યું હતું
-
ગુજરાતના આટલા જિલ્લામાં આજે વરસાદની કરાઈ છે આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમા યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓમા વરસાદની આગાહી કરાઈ છે. અરબ સાગરમા ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેસન બનતા ગુજરાતમાં વરસાદ વરસશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમા આજે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને ત્રણ દિવસ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.
-
યાત્રાધામ દ્વારકામાં વરસ્યો વરસાદ, દશેરાના અનેક કાર્યક્રમો અંગે અનિશ્ચિતતા
યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી વરસાદી વાતાવરણ બાદ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી દ્વારકાના રસ્તાઓ પર પાણી વહ્યા. લોકો અને પ્રવાસીઓને ચાલવું મુશ્કેલ બન્યું હતું. વરસાદ પડતા આજે દશેરાના અનેક કાર્યક્રમો અને રાસોત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
-
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી શસ્ત્રપૂજા
દશેરા પર્વ નિમિત્તે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રપૂજા કરી હતી. શસ્ત્રપૂજા કર્યા બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રોની આજે પૂજા છે. આજે ગુજરાત પોલીસના દરેક યુનિટમાં શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. વર્ષો જૂના અને આજના લેટેસ્ટ હથિયારો અહીં નજરે પડી રહ્યા છે.
-
વડોદરા ડભોઇના ભાજપના ધારાસભ્યે, પોતાના વિરોધીઓને રાવણ સાથે સરખાવ્યા
ડભોઇ તાલુકાના ચાંદોદમાં માતાજીના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મેહતાએ, પોતાના વિરોધીઓને રાવણ સાથે સરખાવ્યા હતા. ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે, વિકાસમાં હાડકા નાખનારા રાવણોનું વધ કરી શકું તેવી માતાજી શક્તિ આપે. સારું કામ કરતા હોય ત્યારે યજ્ઞમાં હાડકા નાખનારા રાવણ બહુ આવે છે તેમ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું. આપણા શત્રુ હોય, હિત શત્રુ હોય તેનો માતાજી નાશ કરે તેમ ભાજપના ધારાસભ્યે જણાવ્યુ હતું. સરખાવ્યા હતા.
-
ઈફકો દ્વારા ખેડૂતો માટે રજૂ કરાયું ધારામૃત ખાતર, તીવ્ર ગરમી- ઠંડીથી તેમજ જીવાતોથી પાકનુ કરશે રક્ષણ
ઇફકો દ્વારા “ધરામૃત” પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગાંધીનગરથી ગાંધીજયંતી અને દશેરાના શુભ દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધરામૃત એક બાયો સ્ટીમ્યુલન્ટ તરીકે કામ કરશે. ધરામૃતના ઉપયોગ કરવાથી પાકની ઉપજ વધે છે. તીવ્ર ગરમી અને ઠંડીથી તેમજ જીવાતોથી પાકનો કરે છે બચાવ.
-
સુરતના મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટી
સુરતના મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટી પડી હતી. ક્રેઈન તુટી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેન સાથે દુર્ઘટના ઘટી હતી. સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડે તપાસ શરૂ કરી છે.
-
ગુજરાત ભાજપના પ્રમુખની ચૂંટણીનો આજે જાહેર થઈ શકે છે કાર્યક્રમ
ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આજે ભાજપના તમામ કાર્યકરોની આતુરતાનો અંત આવી શકે છે. ગુજરાત ભાજપ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના. આજે સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેરાત થાય એવી શક્યતા. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાઈ શકે છે ચૂંટણી. આ સપ્તાહના અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ.
-
સુરતમાં સાંજે 60 ફૂટના રાવણનુ કરાશે દહન, વેસુ, ઉધના ,લીંબાયત અને હજીરામાં રાવણના પૂતળાદહન કરાશે
વિજયા દશમીને લઈ સુરતમાં રાવણ દહનની તૈયારીઓ શરૂ કરાઇ છે. સુરતમાં 60 ફૂટના રાવણનું કરાશે દહન. સુરતમાં આ વખતે ચાર જગ્યાએ રાવણ દહન યોજાશે. મથુરાથી ખાસ કારીગરો બોલાવી ચારેય જગ્યાના રાવણ તૈયાર કરાયા છે. વેસુ, ઉધના ,લીંબાયત અને હજીરા એમ ચાર જગ્યા એ રાવણ દહન કરાશે. ચારેય જગ્યાના રાવણ ના પૂતળા તૈયાર થઈ જતા લઈ જવામાં આવ્યા. અડધી કલાક ની આતશ બાજી સાથે રાવણ દહન યોજાશે.
-
રક્ષામંત્રી રાજનાથ સિંહનો કચ્છના લક્કીનાળાનો પ્રવાસ રદ
ખરાબ મોસમના કારણે રક્ષામંત્રી રાજનાથ સિંઘનો લક્કીનાળા પ્રવાસ રદ થયો છે. વહેલી સવારથી વરસાદી માહોલના કારણે લક્કીનાળા પ્રવાસનો કાર્યક્રમ રદ કરવા પડ્યો છે. રક્ષામંત્રી લક્કીનાળામાં ભારતીય સૈન્ય જવાનો સાથે શસ્ત્ર પૂજન કરવાની સાથો સાથ ભારતીય સેનાના વિવિધ પાંખ હથિયારોના પ્રદર્શન અને કવાયતને નિહાળવાના હતા.
-
સુરતના પલસાણાની યાર્ન ફેક્ટરીમાં લાગી આગ,
સુરતના પલસાણાની યાર્ન ફેક્ટરીમાં લાગી આગ હતી. વહેલી સવારે યાર્ન ફેકટરીમાં લાગી હતી આગ. ઉમિયા ઇન્ડસ્ટ્રીઝના મેગા પ્લાઝામાં AVK યાર્નમાં બની ઘટના. ફાયરની ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન.
-
આતંરરાષ્ટ્રીય સંબંધો જાળવવામાં નિર્બળતા મજબૂરી ના બને તે માટે આત્મનિર્ભર બનવું પડશે
મોહન ભાગવતે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવી રહેલ ટેરિફને લઈને જણાવ્યું કે, અમેરિકાએ જે નવી ટેરિફ નીતિ અપનાવી તે પોતાના હિત માટે અપનાવી હશે. પરંતુ તેની અસર સૌને થઈ રહી છે. એકલુ રાષ્ટ્ર જીવી ના શકે. સૌની સાથે સંબંધ રાખવો અનિવાર્ય રહે છે. પરંતુ સંબંધો જાળવવાની નિર્બળતા મજબૂરીમાં ના ફેરવાય તે જોવુ જરૂરી છે. સ્વદેશી અને સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી. આત્મનિર્ભર બનવું પડશે. આતંરરાષ્ટ્રીય સંબંધો જાળવી પણ રાખવા પડશે.
-
સુરક્ષા ક્ષેત્રે સતર્ક અને સમર્થ બનવું પડશેઃ મોહન ભાગવત
આજે વિજયા દશમીના દિવસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે સરસઘચાલક મોહન ભાગવતે સ્વંયસેવકોને સંબોધન કર્યું હતું.
આજે વિજયા દશમીના દિવસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે સરસઘચાલક મોહન ભાગવતે સ્વંયસેવકોને સંબોધન કર્યું હતું. તેમણે મહાત્મા ગાંધી અને લાલ બહાદૂર શાસ્ત્રીની જન્મજયંતિ અને ગુરુ તેગબહાદૂરના બલિદાનને યાદ કર્યા હતા.
પહેલગામમાં સિમાપારથી આતંકી હુમલો ધર્મ પુછીને કરાયો. તેના કારણે સમગ્ર દેશમાં ક્રોધની લાગણી જન્મી. સેનાએ વળતો જવાબ આપ્યો. સમાજની એકતાનો એક દાખલો બેઠો. આ ઘટનાએ એ શીખ આપી કે મિત્રભાવ રાખવા છતા સુરક્ષા ક્ષેત્રે સતર્ક અને સમર્થ બનવું પડશે. ઓપરેશન સિંદૂર બાદ વૈશ્વિક ક્ષેત્રે જે વમળ સર્જાયા તે ચેતવા સમાન છે.
-
શસ્ત્ર પૂજા, પથ સંચાલનની સાથેસાથે નાગપુરમાં યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીનો કાર્યક્રમ
આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા છે. RSS આજે તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ કાર્યક્રમ નાગપુરના રેશમબાગ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો હતો. 21,000 થી વધુ સ્વયંસેવકો ભાગ લઈ રહ્યાં છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ વિશેષ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ ગણવેશમાં સ્ટેજ પર દેખાયા હતા. આ કાર્યક્રમમાં માત્ર સંઘની પરંપરાગત શસ્ત્ર પૂજા અને પથ સંચાલન જેવી કૂચનો જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની શરૂઆતનો પણ છે.
-
ગોધરાના સિગ્નલ ફળિયામાં અસામાજીક તત્વોએ કરેલ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું દાદાનું બુલડોઝર
દશેરાના દિવસે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર ગોધરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જગ્યામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર દબાણ. નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જગ્યામાં કરવામાં આવેલા 35 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
ગત માર્ચ માસમાં ગોધરાના ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરનાર આરોપીઓ દ્વારા પણ આજ વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર કાચા તેમજ પાકા દબાણો તોડી પાડવાની કામગીરી કરાઈ શરૂ. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ,માર્ગ અને મકાન વિભાગ,પોલીસ અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સંયુક્ત ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું.
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ, જૂનાગઢના ભેંસાણમાં 2 ઈંચથી વઘુ વરસાદ
બુઘવાર સવારના 6 વાગ્યાથી ગુરૂવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ તાલુકાના ભેંસાણમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે વર્તમાન ચોમાસામાં ગુજરાતનો વરસાદ 116.33 ટકા થવા પામ્યો છે.
-
દેશભરમાં ઉજવાઈ રહી છે મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ
આજે મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદર પહોચશે. દર વર્ષની પરંપરા મુજબ કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજાશે
-
રાજકોટની ધોળકિયા સ્કૂલના શિક્ષકે ઠપકો આપતા ત્રણ બાળકો ચાલ્યા ગયા
રાજકોટની ધોળકિયા સ્કૂલના શિક્ષકે ઠપકો આપતા ત્રણ બાળકો, શાળા અને વાલીઓને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. શાળા છુટ્યાં બાદ પણ બાળકો ઘરે ના આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. બાળકો ગુમ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બાળકો એસ ટી બસના માધ્યમથી જુનાગઢ પહોંચી ગયા હતા. પોલીસે તપાસ કરતા બાળકો જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે હોવાનું સામે આવ્યું હતું. બસના કન્ડકટરની સતર્કતાથી બાળકો હેમખેમ પરિવારજનોને મળ્યા હતા. વાલીએ શાળા સંચાલકની બેદરકારી ગણાવી.
-
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને આજે થયા 100 વર્ષ
આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. RSS આજે તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ કાર્યક્રમ સવારે 7:40 વાગ્યે નાગપુરના રેશમ બાગ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં 21,000 થી વધુ સ્વયંસેવકો ભાગ લીધો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
-
વડોદરાના લાલબાગ બ્રિજ ઉપરથી બાઈકચાલક નીચે પડતા મોત નીપજ્યું
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલક યુવકનું લાલબાગ બ્રિજ ઉપરથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. માંજલપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, 27 વર્ષીય પ્રમોદ સેન નામનો યુવક શ્રેયસ સ્કૂલ તરફથી બુલેટ બાઈક લઈને પુરઝડપે લાલબાગ બ્રિજ પર જઈ રહ્યો હતો, તે સમયે બ્રિજ પર વળાંક ન લઈ શકતા યુવક બ્રિજની રેલિંગ સાથે અથડાઈને બ્રિજ પરથી નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓ થતાં યુવકને સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ હાજર તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Published On - Oct 02,2025 7:26 AM