ગુજરાત હાઇકોર્ટે વિસનગર તોડફોડ કેસમાં હાર્દિક પટેલને આપી રાહત, એક વર્ષ સુધી મહેસાણા જિલ્લામાં કરી શકશે પ્રવેશ
ગુજરાત હાઇકોર્ટે વિસનગર તોડફોડ કેસમાં હાર્દિક પટેલને રાહત આપી છે. એક વર્ષ સુધી મેહસાણા જિલ્લામાં પ્રવેશ કરી શકશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડ કેસ હાઇકોર્ટમાં ચાલતો હતો ત્યારે અગાઉ હાઇકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. આ જામીનની શરત એવી હતી કે તેઓ મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. પરંતુ આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવાના છે. ત્યારે તે પહેલા ગુજરાત હાઇકોર્ટ તરફથી તેમને મોટી રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલને હાઇકોર્ટે હંગામી રાહત આપી છે. એક વર્ષ સુધી હાર્દિક પટેલ મહેસાણા જિલ્લામાં હવે પ્રવાસ કરી શકશે.
ગુજરાત ઇલેકશન 2022 : ગુજરાત હાઇકોર્ટમાંથી હાર્દિકને મળી મોટી રાહત
હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં હંગામી રાહત આપવા માટે અરજી કરી હતી. હાર્દિક પટેલે રજુઆત કરી હતી કે તેમના કુળદેવીનું મંદિર છે તે પણ મહેસાણા જિલ્લાની હદમાં આવેલુ છે. હાર્દિક પટેલના ઘણા સગા સંબંધીઓ પણ મહેસાણા જિલ્લામાં રહે છે. ત્યારે આ તમામ બાબતોને લઇને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેમને રાહત આપવામાં આવે. ત્યારે આ મામલે જ હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને રાહત આપવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટે રાહત આપતા હવે હાર્દિક પટેલ મહેસાણા જિલ્લામાં પ્રચાર કાર્યક્રમો કરી શકશે. ચૂંટણીનું વર્ષ છે ત્યારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે હળવી ટકોર પણ કરવામાં આવી હતી. સમગ્ર કેસ મામલે ચર્ચાઓ હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યા છે. ત્યારે વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે.