Breaking News : બાબા બાગેશ્વર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા, મનીષ દોશીએ બાબાને પૂછ્યા 10 સવાલ, તો હેમાંગ રાવલે ટ્વીટ કરીને આપ્યુ સમર્થન
એક તરફ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ બાબાને સણસણતા 10 સવાલ પૂછ્યા છે. તો બીજી તરફ હેમાંગ રાવલે ટ્વીટ કરીને બાબા બાગેશ્વરને સમર્થન આપ્યુ છે.

બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) 26 મેથી 2 જૂન સુધી ગુજરાતમાં રહેવાના છે અને દિવ્ય દરબાર યોજવાના છે. ત્યારે બાબા બાગેશ્વર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં (Congress) ફૂટ પડી હોવાનું સામે આવ્યુ છે. એક તરફ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ બાબાને સણસણતા 10 સવાલ પૂછ્યા છે. તો બીજી તરફ થોડા મહિના પહેલા જ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરીને બાબા બાગેશ્વરને સમર્થન આપ્યુ હોવાનું સામે આવ્યુ છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પ્રથમવાર કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બાબા બાગેશ્વરને સણસણતા 10 સવાલ પૂછ્યા છે. જે નીચે મુજબ છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સવાલ
- ગુજરાતમાં કથળી રહેલી શિક્ષણની સ્થિતિ ક્યારે સુધરશે ?
- ગુજરાતમાં કોના આશીર્વાદથી કરોડોનો દારૂ ઠલવાય છે ?
- કરોડોનું ડ્રગ્સ રેકેટ કોની રહેમરાહથી ગુજરાતમાં આવે છે ?
- યોજનાઓમાં ભ્રષ્ટાચાર દ્વારા પ્રજાના પૈસાનું પાણી કોણ કરે છે ?
- ઓવરબ્રિજમાં કરોડોના ભ્રષ્ટાચારીઓને કોણ છાવરી રહ્યું છે ?
- રાજ્યભરની પ્રદુષિત નદીઓનું કેવી રીતે શુદ્ધિકરણ થઇ શકે ?
- સત્તામાં આંધળી બનેલી સરકારને સદ્દબુદ્ધિ ક્યારે આવશે ?
- ગુજરાતના યુવાઓનું થતું આર્થિક શોષણ ક્યારે બંધ થશે ?
- ગોચરના ભ્રષ્ટાચારી કોણ, ગાય માતાને ગોચર ક્યારે મળશે ?
- ગુજરાતની મહિલાઓને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ મળશે ?
કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં મનીષ દોશીએ ભાજપ પર પ્રહાક કરતા કહ્યુ હતુ કે ચૂંટણી આવે ત્યારે ભાજપ બાબાને આગળ કરે છે. મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા બાબાનો ઉપયોગ કરવામાં આવે છે. 2014 અને 2019માં પણ કેટલાંક બાબાઓ મેદાનમાં પડ્યા હતા. 2024ની ચૂંટણી આવી એટલે વધુ એક નવા બાબા આવ્યા છે. તેમણે કહ્યુ કે દેશ અને ગુજરાતની પ્રજા આવા બાબાઓના ચક્કરમાં નહીં આવે. ચૂંટણી આવે એટલે ભાજપ ધર્મના નામે મતની રાજનીતિ કરે છે.
જો કે બીજી તરફ કોંગ્રેસના જ અન્ય નેતા બાબાના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જાન્યુઆરી મહિનામાં ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપતુ ટ્વીટ કર્યુ હતુ. તેમણે ટ્વીટ કર્યુ કે બાબાએ 300થી વધુ પરિવારોની હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવી છે. નાસ્તિકોની મેલી મુરાદને બાબાએ બર આવવા દીધી નથી.
નાસ્તિકો સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે ત્યારે તેમની મેલી મુરાદને બર ના કરવા દેનાર અને 300થી પણ વધુ પરિવારોને હિન્દૂ ધર્મમાં ઘરવાપસી કરાવનાર બાગેશ્વર ધામ સરકાર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને મારુ સમર્થન છે. -હેમાંગ મહીપતરામ રાવલ@bageswardham pic.twitter.com/fsanmMmjoR
— Hemang Raval (@hemangmraval) January 20, 2023
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો