Gujarati Video: સુત્રાપાડાના દરિયાઈ ગામોમાં વર્ષો પહેલા બનેલો બંધારો બન્યો માથાનો દુ:ખાવો, ફળદ્રુપ જમીન થઈ રહી છે બરબાદ
Gir Somnath: જિલ્લાના સુત્રાપાડા તાલુકાના દરિયાઈ ગામોમાં 30 વર્ષ પહેલા બાંધેલો બંધારો હાલ ખેડૂતોના માથાના દુ:ખાવા સમાન બન્યો છે. દરીયાઈ ખારાશને રોકવા બનાવેલો આ બંધારો હાલ દરિયાઈ ખારાશ રોકી શકતુ નથી જેના કારણે ફળદ્રુપ જમીન પણ નષ્ટ થઈ રહી છે.
ગીરસોમનાથના સુત્રાપાડાના દરિયા વિસ્તારના ગામોમાં વર્ષો પહેલા બનેલો બંધારો હાલ માથાના દુ:ખાવા સમાન બન્યો છે. દરીયાઇ ખારાશ રોકવા અને મીઠા પાણીના સંગ્રહ માટે બનાવેલો આ બંધારો આજે દરિયાઈ ખારાશ રોકી શકતુ નથી. જેના કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીન બરબાદ થઈ રહી છે. ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે કે બંધારામાં ફરી દરવાજા મૂકવામાં આવે.
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠયા છે, અને કારણ છે માત્ર ખેડૂતોના હિત માટે બનાવેલો બાંધરો. આશરે 30 વર્ષ પહેલાં સરકાર દ્વારા દરિયાના ખારા પાણીને રોકવા અને મીઠા પાણીનું તળ ઊંચું લાવવા સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામ નજીક જિલ્લા ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક બંધારો બનાવવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ધ્યેય દરિયાઈ ખારાશને રોકવા તેમજ મીઠા પાણીનો સંગ્રહ હતો. પરંતુ આ બંધારો હવે આસપાસના ગામનો ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. તેની પાછળનું કારણ છે દરવાજાની જગ્યાએ તંત્રએ ઉભી કરેલી સિમેન્ટની દિવાલ.
30 વર્ષ જૂના આ બંધારાના જ્યારે દરવાજા તૂટ્યા ત્યારથી તંત્રએ ત્યાં દરવાજાની જગ્યાએ સિમેન્ટની દિવાલ ઉભી કરી છે. સ્થિતિ એ છે કે વરસાદી પાણી બંધારામાં જતુ નથી. ખારાશવાળુ પાણી રોકી શકાતુ નથી અને તેના કારણે સમસ્યા દિન પ્રતિદીન વધતી જઈ રહી છે. ખેતી લાયક જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી બેઠી છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે તાકીદે દિવાલ તોડી બંધારામાં દરવાજા મૂકે.
જ્યારે આ અંગે ક્ષાર અંકુશ વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે સ્વિકાર કર્યો કે ખેડૂતોએ બંધારામાં દરવાજા મૂકવાની અરજીઓ કરી છે. જોકે તંત્રનું કહેવુ છે કે દરવાજાની જગ્યાએ પ્રશાસને વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરી રહી છે. અધિકારીનું કહેવુ છે કે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કેનાલનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મરી પરવારી માનવતા ! ગીર સોમનાથમાં વિકૃત યુવકોએ 25 શ્વાનને લાકડીથી મારી મોતને ઘાટ ઉતાર્યા
આશા રાખીએ કે સુત્રાપાડાના આસપાસના ગામના લોકોની સમસ્યાનો ત્વરિત અંત આવે કારણ કે જો સરકાર કોઈ ઝડપી પગલા નહીં લે તો આસપાસ રહેલી તમામ ફળદ્રૂપ જમીન નષ્ટ થઈ જશે.
ઈનપુટ ક્રેડિટ યોગેશ જોષી- ગીરસોમનાથ