Gir Somnath: સોમનાથમાં શ્રદ્ધાળુઓ નજીવી રકમ આપીને મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિનો લાભ લઈ શકશે
શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરની (Somnath Mandir) સામે બનાવવામાં આવેલ યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે. યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે.
રાજ્યમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ (Somnath) ખાતે શ્રધ્ધાળુઓ માટે નજીવા ખર્ચે યજ્ઞમાં સામેલ થવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) અધ્યક્ષપણા હેઠળ સોમનાથ ટ્રસ્ટે અનોખી સેવા શરૂ કરી છે. હવે સોમનાથ મહાદેવના (Somnath Mahadev) મંદિરે માત્ર 25 રૂપિયામાં ભક્તો મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ આપી શકશે. આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે, અથવા સંપૂર્ણ તૈયારી સાથે વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન કરે છે. પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાશે. માત્ર 25 રૂપિયાના નજીવા ખર્ચે આ લાભ લઈ શકશે.
મંદિર તરફથી આપવામાં આવશે આહૂતિ દ્રવ્ય
શ્રધ્ધાળુઓ સોમનાથ મંદિરની (Somnath Mandir) સામે બનાવવામાં આવેલ યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે. યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં ભક્તો મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપે છે.
મૃત્યુંજય મહાદેવ શ્લોક અને જાપનું માહાત્મય
એક પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રદેવ સસરા દક્ષ પાસેથી ક્ષયનો શાપ મેળવ્યા બાદ સોમનાથમાં દેવાધિદેવની આરાધના કરી હતી. મહાદેવજીએ પ્રભાસ પાટણની ભૂમિ પર ચંદ્રદેવને 16 દિવસ ક્ષય અને 16 દિવસ વૃદ્ધિના આશીર્વાદ આપ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સામે ચાલતા મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ આપીને પુણ્ય પ્રાપ્ત કરી શકો તેવા આ યજ્ઞનો લ્હાવો લેવા અપીલ કરતા ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, મહામૃત્યુંજય યજ્ઞનું ખાસ શ્રાવણ માસમાં જ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાકાળ બાદ શ્રાવણ માસના 10 દિવસમાં 4 હજારથી ભક્તોએ આ યજ્ઞમાં લાભ લીધો હતો.
શ્રાવણી પૂર્ણિમાએ ભૂદેવોએ બદલી જનોઈ
ગીર સોમનાથનાં કોડીનારમાં શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના બાદ પ્રથમ વખત બહોળી સંખ્યામાં ભુદેવોએ જનોઈ બદલી હતી. શ્રવણ નક્ષત્રનાં શુભ મહુર્તમાં આજે બળેવ પ્રસંગે જનોઈ બદલવામાં આવી હતી. કોડીનાર બ્રહ્મપુરી ખાતે આજે ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. મોટેભાગે શ્રાવણી પૂનમ અને બળેવ એક જ દિવસે હોય છે. આ વર્ષ પંચાંગ મુજબ નાળિયેરી પૂનમ અને વ્રતની પૂનમ આજે છે.
ઉપરાંત આજે શ્રવણ નક્ષત્ર રાત્રીના 8.22 સુધી હોય યજુર્વેદી બ્રાહ્મણો શ્રવણ નક્ષત્રમાં જનોઈ બદલે છે. જ્યોતિષીઓ અને વિદ્વાન બ્રાહ્મણોનાં જણાવ્યા મુજબ ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો આજે બળેવ પર્વ અને રક્ષાબંધન ઉજવે છે તો સામવેદી બ્રાહ્મણો આગામી માસમાં હસ્ત નક્ષત્રમાં જનોઈ બદલે છે. જે મોટાભાગે કેવડા ત્રીજને દિવસે આવતું હોય છે. એકંદરે વ્રતની પૂનમ જે પાળે છે અને ચંદ્ર દર્શન કરે છે તે લોકોએ શ્રવણ નક્ષત્રમાં જનોઈ બદલવાની રહે છે. તેવું પંચાંગ આધારિત વિદ્વાનો જણાવી રહ્યાં છે.
આજે બ્રાહ્મણ, લોહાણા અને વૈશ સુતાર સમાજ આજે પણ જનોઈ ધારણ કરે છે. જનોઈને શાસ્ત્રોમાં ‘યજ્ઞોપવિત’ કહેવામાં જે અતિ પવિત્ર ગણવામાં આવે છે. યજ્ઞોપવિતનું આધ્યાત્મિક મહત્વ તો છે જ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. વિધિવત જનોઈ ધારણ કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે અને ઉત્સર્જન તંત્રનાં રોગો થતા નથી.
વિથ ઇનપુટ્સ: યોગેશ જોષી, ગીર સોમનાથ