Gir Somanth: લઘુશંકા કરવા ગયેલા 2 બાળકોના મૃતદેહ મળી આવતા પરિવાર આઘાતમાં સર્યો
શિક્ષિકાએ આ અંગે આચાર્યે જાણ કરતા ગ્રામજનોની મદદથી ધો. 2માં ભણતા કેવલ રમેશભાઇ વંશ અને નિતિન બચુભાઇ બાંભણિયા નામના બાળકોની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે તમામ લોકોના આઘાત વચ્ચે શાળાથી 300 મીટર દૂર રૂપેણ નદીના કિનારેથી બે બાળકોના ચંપલ મળી આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર ગઢડાની રૂપેણ નદીમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ગામમાં ભારે શોક વ્યાપી ગયો હતો. સમગ્ર ઘટના એવી હતી કે ગીર ગઢડાના કરેણી ગામમાં ગત બપોરે ચાલુ શાળામાંથી બે બાળકો લઘુ શંકા કરવા માટે બહાર નીકળ્યા હતા. આ બંને બાળકો લાંબા સમય સુધી વર્ગખંડમાં પરત ન આવતા શિક્ષિકાએ બંને બાળકોની તપાસ હાથ ધરી હતી.
શિક્ષિકાએ આ અંગે આચાર્યે જાણ કરતા ગ્રામજનોની મદદથી ધો. 2માં ભણતા કેવલ રમેશભાઈ વંશ અને નિતિન બચુભાઈ બાંભણિયા નામના બાળકોની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે તમામ લોકોના આઘાત વચ્ચે શાળાથી 300 મીટર દૂર રૂપેણ નદીના કિનારેથી બે બાળકોના ચંપલ મળી આવ્યા હતા. દુર્ઘટનાની આશંકાને પગલે સ્થાનિક તરવૈયાઓએ નદીમાં બાળકોની શોધખઓળ હાથ ધરી હતી તેમાં બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે બંને બાળકોનો પરિવાર આઘાતમાં ડૂબી ગયો હતો.
બાળકોના મૃતદેહ મળી આવતા તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ઉનાના સ્થાનિક ધારાસભ્ય કે.સી. રાઠોડ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે સમગ્ર ઘટના અંગે માહિતી પ્રાપ્ત કરી હતી.
એક અહેવાલ પ્રમાણે મૃતક બાળકના પિતાએ શિક્ષિકા ઉપર આરોપ લગાવ્યો હતો કે જો શિક્ષિકાએ આ અંગે થોડી વારમાં જ જાણી કરી હોત તો કદાચ તેમના બાળકો બચી ગયા હોત.
ડો. અતુલ ચગના આત્મહત્યા કેસમાં સામે આવી મોટી વિગતો
તો બીજી તરફ ગીર સોમનાથના વેરાવળના પ્રતિષ્ઠિત ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પર અનેક સનસનીખેજ આરોપો લગાવ્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા વિરૂદ્ધ પોલીસને અરજી આપી છે.
જેમાં તેમણે રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ અરજીમાં કરેલા દાવા મુજબ વર્ષ 2008થી તેમના પિતાની રાજેશ ચુડાસમા પાસેથી દોઢથી પોણા બે કરોડની રકમ લેણી નીકળતી હતી, પરંતુ વારંવાર રૂપિયા માગવા છતાં રાજેશ ચુડાસમા બાકી રકમ પરત ન કરતા હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે.