કર્મચારીઓની નિષ્ઠાને સલામ, વિકટ સંજોગોમાં પણ ફરજ નિભાવીને આપ્યું કોરોના કવચ
હર ઘર દસ્તક કાર્યક્મ 2.0 અંતર્ગત 1જુનથી 10 જૂલાઇના 40 દિવસ દરમિયાન રાજ્યના 9. 16 લાખ લોકોને રસીનો બીજો ડોઝ (Second dose) આપવામાં આવ્યો છે. સાથે જ 3500 ગામોમાં બંને ડોઝનું 100 ટકા રસીકરણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં રસીકરણ (Vaccination) માટેના હર ઘર દસ્તક કાર્યક્મ 2.0 અંતર્ગત 1 જુનથી 10 જૂલાઇના 40 દિવસ દરમિયાન રાજ્યના 9.16 લાખ લોકોને રસીનો બીજો ડોઝ (Second Dose) આપવામાં આવ્યો છે. સાથે જ 3500 ગામોમાં બંને ડોઝનું 100 ટકા રસીકરણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારથી વેક્સિનેશન શરૂ થયું છે ત્યારથી કર્મચારીઓએ તાપ, વરસાદ, ટાઢ જોયા વિના સંપૂર્ણ નિષ્ઠાથી પોતાનું કાર્ય કર્યું છે પરિણામે રાજ્યના સેંકડો લોકોને કોરોના કવચ મળી ગયું છે. હર ઘર દસ્તકના પ્રથમ તબક્કાની જવલંત સફળતા બાદ વધુમાં વધુ લોકોને પ્રિકોશન ડોઝ સહિતના અન્ય તબક્કાના કોરોનાની રસીના ડોઝ લગાડવા માટે 1 જુનથી 31મી જુલાઇ સુધીમાં સમગ્ર દેશમાં “હર ઘર દસ્તક 2.0.” કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
હર ઘર દસ્તક 2.0 હેઠળ વૃધ્ધો અને ડીફ્ર્ન્ટલી એબલ્ડ લાભાર્થીઓને સેફ્ટી અને તેમની અનુકૂળતા ધ્યાને રાખીને નિયર ટુ હોમ સી.વી.સી. સ્ટ્રેટજી થકી પ્રાથમિકતાના ઘોરણે રસીકરણ કરવામાં આવ છે. તદ્ઉપરાંત ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી, કિશોરો માટે પણ ખાસ આયોજન હાથ ધરીને રસીકરણ કરવામાં આવ્યું છે.
વધુમાં રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં રસીકરણની સઘન કામગીરી હાથ ધરીને 12 થી વધુ વય જુથના લાભાર્થીઓ, બીજા ડોઝના લાભાર્થીઓ, 12 થી17 ની વયના પ્રથમ ડોઝના લાભાર્થીઓ તેમજ હેલ્થ કેર વર્કર્સ, ફ્ર્ન્ટલાઇન વર્કર્સ અને 60 થી વધુની વયના વયસ્કો માટે પ્રિકોશન ડોઝ સત્વરે ઉપલબ્ધ કરાવીને કોરોના સામેનું સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.
3472 ગામડાઓમાં રસીનો બીજો ડોઝ 1૦૦ ટકા સંપન્ન
હર ઘર દસ્તક 2.0 અંતર્ગત 1 લી જુન થી 10 મી જુલાઇ એટલે કે 40 દિવસમાં થયેલ કામગીરીની વિગતો જોઇએ તો , આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા રાજ્યના ગામડાઓના 49,509 ઘરોમાં એક વખત જ્યારે 36,158 જેટલા ઘરોમાં બે વખત મુલાકાત કરવામાં આવી છે. જેમાં 4961 જેટલા ગામડાઓમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 3472 ગામડાઓમાં રસીનો બીજો ડોઝ 1૦૦ ટકા સંપન્ન થયો છે.
40 દિવસમાં રાજ્યના આરોગ્યકર્મીઓ દ્વારા 73 હજાર થી વધુને લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 3.80 લાખ લોકોને રસીનો બીજો ડોઝ અને 4.62 લાખથી વધુ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો. રાજ્યના હાટ, બજાર, માર્કેટ, સ્કુલ, કૉલેજમાં હર ઘર દસ્તક 2.0 અંતર્ગત થયેલી રસીકરણની કામગીરી પર નઝર કરીએ તો 12 થી 18 ની વયજૂથના 14,227 જેટલા લાભાર્થીઓને આ પ્રકારની સ્થળો પર જઇને પ્રથમ ડોઝ જ્યારે 32,844 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ અને 1.10 લાખ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં હર ઘર દસ્તકનો પ્રથમ તબક્કો 3 નવેમ્બર 2021 માં શરૂ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં 1 કરોડથી વધુ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે.