Gujarat : રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી અને નાણાં પ્રધાને લખ્યો પત્ર, મોંઘવારી ભથ્થામાં વધારો કરે સરકાર
કર્મચારી મંડળે 4 ટકા મોંઘવારી ભથ્થાની માગ કરી છે. મહત્વનુ છે કે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીને 34 ટકા મોંઘવારી ભથ્થું મળે છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાં પ્રધાને પત્ર લખ્યો છે. કર્મચારી મંડળે 4 ટકા મોંઘવારી ભથ્થાની માગ કરી છે. મહત્વનુ છે કે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીને 34 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. આ પહેલા કેન્દ્ર સરકારે ગત જુલાઈ માસમાં 4 ટકા નો વધારો કર્યો હતો. જેથી કેન્દ્રના કર્મચારીઓને 38 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.
વિવિધ સરકારી સંગઠને પણ કરી છે માગ
જેથી હાલ રાજ્યમાં વધતી જતી મોંઘવારીના કારણે ગુજરાતના કર્મચારીઓ મોંઘવારી ભથ્થું વધારવાની માગ કરી છે. એટલે કે કેન્દ્ર સરકારની 38 ટકા મોંઘવારી ભથ્થું મળે તેવી માંગ કરી છે. અગાઉ પણ વિવિધ સરકારી સંગઠન તરફથી સરકારને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માગ કરાઈ છે.
પગાર ધોરણના આધારે મળે છે મોંઘવારી ભથ્થું
મોંઘવારી ભથ્થું એવું નાણું છે જે સરકારી કર્મચારીઓને વધતી મોંઘવારી સામે જીવન ધોરણ ટકાવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.