CM રૂપાણીએ લીધા DDO અને કલેકટરના કલાસ, લોકસેવક તરીકેની મળેલી જવાબદારી નિષ્ઠા-ઈમાનદારીથી નિભાવવા કરી ટકોર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે જિલ્લાતંત્રના વડા તરીકે તમારા પરફોર્મન્સ-ડિલીવરીઝના આધાર ઉપર પ્રજા માનસમાં ગુડ ગર્વનન્સની સરકારની છબી-પરસેપ્શન બને છે.
Gandhinagar: ગાંધીનગર ખાતે આજે રાજ્યભરના કલેકટર અને DDOની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના CM વિજય રૂપાણી (CM Vijay Rupani)એ IAS અધિકારીઓને લોકસેવક તરીકે મળેલી જવાબદારીને નિષ્ઠા-ઈમાનદારીથી નિભાવવાનું સૂચક નિવેદન કર્યું હતું. મહત્વનું છે કે કોરોનાકાળમાં વહીવટી તંત્રની બેદરકારી ના કારણે જ્યાં એક તરફ લોકો પરેશાન થયા છે, ત્યાં બીજી તરફ સરકારની છબી ખરડાઈ છે. તેવામાં ગત સપ્તાહે મોટાપાયે બદલી બાદ આજે યોજાયેલી કોન્ફરન્સમાં મુખ્યપ્રધાનના આ નિવેદનને ખૂબ જ સૂચક માનવામાં આવે છે.
સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે જિલ્લાતંત્રના વડા તરીકે તમારા પરફોર્મન્સ-ડિલીવરીઝના આધાર ઉપર પ્રજા માનસમાં ગુડ ગર્વનન્સની સરકારની છબી-પરસેપ્શન બને છે. ત્યારે સંવેદનશીલતા સાથે પેન્ડીંગ કામો પૂરા કરવા, માથે લઈને કામ કરવા, ઝિરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શનના અભિગમની સાથે કામગીરી કરવાની સલાહ પણ આપી હતી. મહત્વનું છે કે આજની કોન્ફરન્સમાં ટેકનોલોજીના ઉપયોગથી જનહિત-લોકસેવાના કામ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ત્યારે DyCM નીતિન પટેલ દ્વારા અધિકારીઓને ફિલ્ડ વિઝીટ પર સતત ભાર મૂકવામાં આવ્યું. તેમજ ફિલ્ડ વિઝીટ દરમ્યાન તેમના જિલ્લામાં ચાલતા કે પ્રગતિ હેઠળના વિકાસ કામો, માર્ગ-મકાનના કામો, CHC, PHC, સ્વચ્છતા અભિયાનના કામોની ઓચિંતી મૂલાકાત લઈ ગુણવત્તાની અને કામગીરીની સમયાંતરે તપાસ કરતા રહેશે તો પણ સંબંધિત વિભાગોની સતર્કતા-સજ્જતા વધશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે. ત્યારે વહીવટી વિભાગની ચુકથી વર્તમાન સરકારને નુકસાન થઈ શકે એમ છે. એના જ કારણે હાલમાં પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: SURAT : આગામી વિધાનસભા ચૂંટણીનું એપીસેન્ટર બનશે સુરત ? શું AAP પક્ષનો વધ્યો દબદબો ?