કોરોનાના કેસ વધતા ગુજરાતમાં ક્રિસમસ અને ન્યૂ યરના સેલિબ્રેશન પર લાગી શકે છે રોક, દિલ્હીમાં લાગ્યા આ નિયંત્રણો
Omicron in Gujarat: કોરોના અને ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોને કારણે ગુજરાતમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લાગી શકે છે.
Omicron in Gujarat: કોવિડ-19નો (Corona in Gujarat) નવો ઓમિક્રોન વેરિઅન્ટ વકરતા દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નિયંત્રણો વધુ કડક થઈ શકે છે. ગુજરાતમાં પણ ક્રિસમસ અને ન્યૂ યરના સેલિબ્રેશન ઉપર રોક આવી શકે છે. દિલ્લીમાં એક જ દિવસમાં કોરોનાના 125 કેસ આવતા વિલંબ કર્યા વગર તાત્કાલિક નવા નિયંત્રણો લાદી દેવાયા છે. જેમાં ક્રિસમસ અને ન્યૂ યરની સામૂહિક ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકાયો છે.
દિલ્હીમાં લગ્ન પ્રસંગમાં 200 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હોટેલ- રેસ્ટોરેન્ટને ક્ષમતા કરતાં 50 ટકા વ્યક્તિ સાથે કાર્યરત રાખવા આદેશ કરાયો છે. તદ્ઉપરાંત તમામ પ્રકારના સામાજિક, રાજકિય, ,રમતગમત, મનોરંજન, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકાયો છે. દુકાનો અને મોલ કે જાહેર સ્થળોએ ફરજીયાત માસ્કનો કડક અમલ અને તેનો ભંગ કરનારા સામે સખત કાર્યવાહીનો આદેશ અપાયો છે. જેથી હવે ગુજરાતમાં પણ આ પ્રકારની મર્યાદાઓ ફરીથી અમલમાં આવી શકે છે.
ગુજરાતમાં ઓમિક્રોન
જણાવી દઈએ કે ગુજરાતમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના નવ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં (Ahmedabad) પાંચ કેસ જ્યારે આણંદ અને મહેસાણામાં બે-બે કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 23 કેસ થઇ ગયા છે. જેમાં અમદાવાદમાં 7 કેસ, વડોદરા 3 કેસ, જામનગરમાં 3 કેસ, આણંદમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ અને સુરતમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે.
તો રાજ્યમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ મહિલા અને એક બાળકી અને એક પુરુષ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. મળતી માહિતી અનુસાર, કોંગોથી મકરબા આવેલી 1 મહિલા અને એક બાળકીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દુબઇથી થલતેજ આવેલી એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ તાન્ઝાનિયાથી મણિનગર આવેલા એક પુરુષને પણ સંક્રમણ થયું છે. એટલું જ નહિં UKથી નવરંગપુરા આવેલી એક મહિલા પણ ઓમિક્રનથી સંક્રમિત થઇ છે.
ગુજરાતમાં કોરોના
આ તરફ રાજ્યમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. અને દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોનાના 91 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે.. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 26 નવા કેસ સામે આવ્યા. તો સુરતમાં 17, રાજકોટમાં 15, વડોદરામાં 12 નવા દર્દીઓ મળ્યા. વલસાડમાં 6, જામનગરમાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડામાં 2-2, કચ્છ, આણંદ, તાપી, અમરેલીમાં પણ એક એક સામે આવ્યો. તો દેવભૂમિ દ્વારકા અને સુરતમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 41 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.18 લાખથી વધુ લોકો કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચ્યો. તો કોરોના કારણે રાજ્યમાં મૃત્યુઆંક 10,106 પર પહોંચી ગયો છે. નવા આંકડા બાદ એક્ટિવ કેસ 637 થઈ ગયા છે, જેમાં 9 દર્દી વેન્ટીલેટર પર છે. રસીકરણની વાત કરીએ તો એક દિવસમાં 1 લાખ 82 હજાર 360 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 8 કરોડ 75 લાખ 1 હજાર 402 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓમિક્રોન વિસ્ફોટ: એક દિવસમાં 9 નવા કેસ સાથે કુલ કેસ 23, જાણો કયા જિલ્લામાં કેટલા છે કેસ?