Breaking News: રહેણાંકમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે
ગુજરાતમાં મે-2023ની સ્થિતિએ સૂર્ય ગુજરાત યોજના હેઠળ કુલ 1619. 66 મેગાવૉટની ક્ષમતા ધરાવતી 4,11,637 સોલાર સિસ્ટમ સાથે સ્થાપિત કરવામાં આવી છે. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂપિયા 2607.84 કરોડ સબસિડી ચુકવવામાં આવી છે
Gandhinagar : ગુજરાતે(Gujarat) આજે સૌરઊર્જાના( Solar Energy) ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ 2023 અંતિતની સ્થિતિએ સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીના ફેઝ-૨ અંતર્ગત રહેણાંક હેતુ માટે કુલ 1861. 99 મેગાવૉટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થયેલી છે. તે પૈકી 1507. 71 મેગાવૉટ ક્ષમતાની સોલાર સિસ્ટમ માત્ર ગુજરાતમાં સ્થાપિત કરાયેલી છે. એટલે કે દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના 81 ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે.
વીજગ્રાહકોને અંદાજિત રૂપિયા 2607.84 કરોડ સબસિડી
રાજ્યમાં મે-2023ની સ્થિતિએ સૂર્ય ગુજરાત યોજના હેઠળ કુલ 1619. 66 મેગાવૉટની ક્ષમતા ધરાવતી 4,11,637 સોલાર સિસ્ટમ સાથે સ્થાપિત કરવામાં આવી છે. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂપિયા 2607.84 કરોડ સબસિડી ચુકવવામાં આવી છે. રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઊર્જા ઊત્પન્ન કરી સ્વ-વપરાશ ઉપરાંતની વધારાની સૌર ઊર્જા ગ્રીડમાં વેચી આવક મેળવી રહ્યાં છે. વપરાશ બાદ ગ્રીડમાં મોકલેલી વધારાની વીજળી વીજવિતરણ કંપની દ્વારા રૂ. ૨.૨૫ના દરે ખરીદવામાં આવે છે.
રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપની અરજી કરવા, ઇન્સ્ટોલેશન કરવા અને કાર્યરત વિવિધ કામીગીરીની દેખરેખ માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ઝડપી અમલીકરણ માટે ઓનલાઈન અરજીની નોંધણી માટે દસ્તાવેજી પુરાવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. દ્વારા દૈનિક પ્રગતિનું મોનીટરીંગ
રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપના વિશાળ કામના ઝડપી અમલીકરણ માટે 728 એજન્સીઓને નિયત કરાઈ છે. આ એજન્સી દ્વારા રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન બાદ પાંચ વર્ષ માટે ફ્રી મેઇન્ટેનન્સ પૂરું પાડવામાં આવે છે. રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમની કામગીરીની ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે વીજ વિતરણ કંપનીના ઇજનેર દ્વારા સોલાર પીવી મોડ્યુલોનું ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે.આ યોજના માટે નોડલ એજન્સી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. દ્વારા દૈનિક પ્રગતિનું મોનીટરીંગ કરવામાં આવે છે.
સબસિડી વધુમાં વધુ ૧૦ કિલોવૉટની ક્ષમતા સુધી મર્યાદિત
ઉલ્લેખનીય છે કે રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહનને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા.૦૫-૦૮-૨૦૧૯ના રોજ ‘સૂર્ય-ગુજરાત યોજના’ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર ૧ કિલોવૉટ કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરી શકે છે. તેના માટે તેના કરારીય વિજભાર(સેંક્શન લૉડ)ની મર્યાદા લાગુ પડશે નહીં. જોકે સબસિડી વધુમાં વધુ ૧૦ કિલોવૉટની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો