બોટાદમાં 6.43 કરોડના ખર્ચે બનશે કુમાર છાત્રાલય, આધુનિક સુવિધાઓથી હશે સજ્જ
કોઇ પણ સમાજના વિકાસના પાયામાં શિક્ષણનું (Education) ખૂબ જ મહત્વ રહેલું હોય છે. બોટાદ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ હવે ઘર આંગણે જ સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ થવાથી સુલભ સુવિધાઓનો લાભ મળી રહેશે.
ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના આદર્શો અને મૂલ્યોને મૂર્તિમંત કરવાના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક બોટાદના પાળીયાદ રોડ ખાતે જી.આઇ.ડી.સી.માં 6.43 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા સરકારી કુમાર છાત્રાલયનું ખાતમૂહૂર્ત કરી તકતીનું અનાવરણ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સાથે બોટાદના (Botad News) નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
સમાજના વિકાસમાં શિક્ષણ પાયાનો પથ્થર
મંત્રી પ્રદિપ પરમારે બોટાદ ખાતે સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજના વિકાસના પાયામાં શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. બોટાદ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ હવે ઘર આંગણે જ સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ થવાનું છે જેથી સુલભ સુવિધાઓનો લાભ મળી રહેશે. આ કુમાર છાત્રાલયના નિર્માણ થકી ટેક્નોલોજીથી સજજ અદ્યતન પ્રકારની આનુષંગિક વ્યવસ્થાઓ ઉભી કરાશે અને અહીંના વિદ્યાર્થીઓ હવે આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવા ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરી સરકારી સેવાઓમાં જોડાશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ પરમારે વ્યક્ત કર્યો હતો.
વધુમાં મંત્રી પરમારે ઉમેર્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે 4 ટકાના વ્યાજ દરે 25 લાખ રૂપિયાની લોન આપવા ઉપરાંત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. મેડીકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન સહાય, એમ.ફીલ. અને પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમ માટે શિષ્યવૃતિ પણ આપવામાં આવતી હોવાથી તેનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળ્યો હોવાનું મંત્રી પરમારે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, સરકારની વિવિધ જન કલ્યાણ લક્ષી યોજનાઓના લાભો ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ દ્વારા સહાયનું વિતરણ કરી જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ પહોચાડવામાં આવી રહ્યો છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીએ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બોટાદ જિલ્લાને સરકારી કુમાર છાત્રાલયની ભેટ આપીને જિલ્લાની યશકલગીમાં વધારો કર્યો હોવાનું જણાવી તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અગ્રણી મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચનો કર્યો હતા.