ભાવનગરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુશખુશાલ
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓ-શિક્ષકો ખુશ થયા હતા. છેલ્લા દોઢ વર્ષથી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ હતું
સમગ્ર ગુજરાત માં હાલમાં કોરોનાના કેસમા ઘટાડો થતાં રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓ બાદ ગુરુવારથી પ્રાથમિક શાળાઓ પણ શરૂ કરવાના નિર્ણય લીધો છે. જેના પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ 6 થી 8ની સ્કૂલો શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ભાવનગર જિલ્લાની કુલ 1270 પ્રાથમિક શાળાઓમાં ગુરુવારથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓ-શિક્ષકો ખુશ થયા હતા. જેમાં દોઢ વર્ષ બાદ ફરીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ઘોરણ 6 થી 8 શાળાઓ સરકાર દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની 1218 શાળાઓ તથા મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ હસ્તકની 52 શાળાઓમાં, આમ ભાવનગરમાં ધોરણ 6 થી 8 કુલ 1270 શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. કોરોનાની બીજી લહેર ધીમી પડતા હવે સરકાર દ્વારા ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
જ્યારે કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક અગવડ પડી રહી હતી. શાળાઓમાં ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવી છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે અને મોટાભાગની ખાનગી અને સરકારી શાળાઓ માં કોરોના ની ગાઈડ લાઈનના પાલન સાથે શિક્ષણ કાર્ય શરૂ જોવા મળ્યું હતું.
ગુજરાત સરકારના પ્રાથમિક શાળા શરૂ કરવાના નિર્ણયને વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકો દ્વારા આવકારવામાં આવ્યો છે. શિક્ષકોના કહેવા પ્રમાણે કોરોનાને લઇને છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમય સુધી ઘરમાં પુરાઈ રહીને નાના બાળકોની માનસિક હાલત ભારે ખરાબ થવા પામી હતી. શાળા શરૂ થતાં બાળકો ને રૂબરૂ શિક્ષણ મળતા બાળકોના ચેહરા પર સ્મિત જોવા મળી રહ્યું છે.
જ્યારે વાલીઓને આ અંગે પૂછતાં તેમણે જણાવેલ કે બાળકો ને ઓનલાઈન શિક્ષણ કરતા ઑફલાઈન શિક્ષણ વધારે સારું પરિણામ આપી શકે છે. અને સતત મોબાઈલમા રહીને કોરોના દરમિયાન બાળકોની સ્થિતિ ખરાબ થઈ રહી હતી, જ્યારે વિદ્યાર્થીઓ પણ દોઢ વર્ષ પછી પોતાના મિત્રો અને શિક્ષકોને મળતા આનંદથી ગદગદિત થઈ ગયા હતા.
આ પણ વાંચો :Ekadashi : આ વ્રતને લીધે જ રાજા હરિશ્ચંદ્રને પાછું મળ્યું તેમનું રાજ ! જાણો અજા એકાદશીનો મહિમા