BHAVNAGAR : રખડતા ઢોરની સમસ્યા કયારે ઉકેલાશે ? મનપા તંત્રની માત્ર કાગળ પર જ કામગીરી
કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસામાં ઢોર પકડવાનો દાવો કરાય છે. પણ માત્ર કાગળ પર ઢોર પકડાયા હોય તેમ ભાવનગરના રસ્તાઓ આજે પણ રખડતા ઢોરથી ઉભરાય છે.
BHAVNAGAR : શહેર જાણે ઢોરવાડો બની ગયો હોય તેમ જાહેર માર્ગો પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરે અડિંગો જમાવી દીધો છે. વાહનચાલકોને રસ્તા વચ્ચે બેસેલા ઢોરને કારણે સતત અકસ્માતનો ભય રહે છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસામાં ઢોર પકડવાનો દાવો કરાય છે. પણ માત્ર કાગળ પર ઢોર પકડાયા હોય તેમ ભાવનગરના રસ્તાઓ આજે પણ રખડતા ઢોરથી ઉભરાય છે.
થોડા સમય પહેલાં શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપના અગ્રણી ગોવિંદભાઈ કુકરેજા આવા રખડતા ઢોરની અડફેટે આવતા મોતને ભેટ્યા હતા. ત્યારે આવી અનેક ઘટનાઓ અકસ્માતની વારંવાર થાય છે. આમ છતાં મનપાના તંત્ર કે શાસકોની આંખ ઉઘડતી નથી, હાલ શહેરના ગમે તે રસ્તાઓ પર જાઓ ત્યાં અચૂક આખલાઓના દર્શન થાય છે.
ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી રેઢિયાળ ઢોરની સમસ્યા છે. અને દર ચોમાસામાં આ સમસ્યા ખૂબ વકરે છે. પરંતુ આજ સુધી કોઇ ઉકેલ આવતો નથી, કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવા ખાસ ટીમ પણ બનાવી અને ઢોરનો ડબ્બો પણ બનાવ્યાની દર વર્ષે વાતો થાય છે. પરંતુ સમસ્યા હલ થતી નથી. જે મત આપનાર લોકોની કરુણતા છે. શહેરમાંથી ઢોર પકડી ઢોર પાંજરાપોળ પર મોકલવામાં આવશે તેવા અનેક અયોજનોની દર વર્ષે વાતો થાય છે. જ્યારે મનપાના જવાબદાર અધિકારીઓ પાંચ પચીસ ઢોર પકડી સંતોષ માને છે.
પરંતુ ભાવનગરમાં દરિયામાંથી પાણીનો લોટો ભરવા જેવી ઢોર પકડવાની કામગીરી છે. પરંતુ ભાવનગરની વર્તમાન પરિસ્થિતિ જુઓ તો કોઈ ઢોર ઓછું ન થયું હોય તેવી હાલત છે. કોર્પોરેશનના નકર આયોજનનો અભાવ દેખાય છે. વાહનચાલક રસ્તા પર ઢોરનું ધ્યાન રાખે તો ખાડામાં માપી લે છે. રખડતા ઢોરને કારણે વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે. આ અંગે મેયર ને પૂછતાં તેમણે જણાવેલ કે ટેન્ડર બહાર પડાયેલ છે. પાંજરાપોળ ના ટ્રસ્ટીઓ સાથે મિટિંગો શરૂ છે આ રખડતા ઢોર ને રાખવા માટે, લોકોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક લવાશે.
ઢોરની સમસ્યા શહેરનો દરેક નાગરિક ભોગવી રહ્યો છે. આમ છતાં મનપાના અધિકરીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી, ત્યારે વિપક્ષે પણ ઢોરનો ત્રાસ વધારનાર ભાજપના મનપાના શાસકો છે. તેમની ઘોર બેદરકારીનું આ પરિણામ છે તેવો આક્ષેપ કરેલો છે. જ્યારે મેયર સૂચના અપાઈ ગઈ છે લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહિ પડે તેવી વાત કરી આશ્વાસન આપી રહ્યા છે.