BHAVNAGAR : કંસારાના નવીનીકરણના પ્રોજેક્ટ માટે કાંઠા વિસ્તારના સ્લમ એરિયામાં મકાનોને તોડી પડવાની નોટીસ સામે ઉગ્ર વિરોધ
આસિસ્ટન્ટ કમિશનરની સાથે બાંધકામના સ્કેચની મંજૂરી અપાયેલી છે. આ ઉપરાંત જાહેરનામાં ઠરાવના આધારે ઝુપડપટ્ટી વિસ્તારને વ્યક્તિગત લાઈટ પાણી ગટર કનેક્શન આપ્યા છે.
BHAVNAGAR: ભાવનગર મહાનગરપાલિકામા વર્ષોથી સરકારી ફાઇલોમાં ધૂળ ખાતા કંસારા પ્રોજેક્ટ શરૂ કરવા માટે મનપા ને સુરાતન ચડ્યું હોય તેમ કંસારા કાંઠા વિસ્તારમાં રહેતા બે હજારથી વધુ મકાનોને તોડી પાડવા નોટિસ ફટકારતા ભારે હોબાળો થયો છે. નોટિસના પગલે મોટી સંખ્યામાં અસર કરતા લોકો મનપાના આ નિર્ણયથી ભારે રોષે ભરાયા છે. કંસારાના નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરાયેલ હોય તે અનુસંધાને આ નિર્ણય લેવામાં આવેલો છે. પરંતુ કંસારાના કાંઠે વસતા ગરીબ પછાત લોકો ક્યાં જાય તે એક સવાલ ઉભો થયો છે.
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કંસારાના કાંઠા વિસ્તારમાં છેલ્લા પાંચ દાયકાથી વસવાટ કરતા બે હજારથી વધુ માન્ય સ્લમ વિસ્તારના મકાન તોડી પાડવા 260 નોટીસ ફટકારી છે. નોટિસના પગલે આ વિસ્તારના સેંકડો પરિવારોના માથેથી છત, આશરો વઈ જવાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જેથી ભાવનગર ચોપડા સંઘની આગેવાનીમાં આજે લોકોના ટોળા ભેગા થયા હતા જોકે ગઈકાલે પણ આવેદનપત્ર મનપાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને પાઠવવામાં આવ્યું હતું.
કંસારાના કાંઠે રહેતા લોકો એવો મત વ્યક્ત કર્યો હતો કે આ ઝૂપડપટ્ટી માન્ય સ્લમ એરીયા છે. કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને આઇડેંતિફાઈ કરી તેનો સર્વે પણ કરાવેલો છે. માન્ય સ્લમ એરીયા હોવાથી કોર્પોરેશનને સરકારી ગ્રાન્ટો પણ મળે છે. મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી અને સામાન્ય સભામાં મફતનગરનું વિગતવાર સર્વે અને કાયમી માલિકીહક આપતો ઠરાવ પણ પસાર કરાયો છે.
એસ્ટેટ વિભાગે માપણીના સ્કેચ સાથે ઝુપડા ધરાવનાર કુટુંબ સાથે ના ફોટા રજુ કરાયા બાદ રૂપિયા 10ની લાયસન્સ થી લઈ 1991 માં ઓળખપત્રો પણ આપેલા છે. આસિસ્ટન્ટ કમિશનરની સાથે બાંધકામના સ્કેચની મંજૂરી અપાયેલી છે. આ ઉપરાંત જાહેરનામાં ઠરાવના આધારે ઝુપડપટ્ટી વિસ્તારને વ્યક્તિગત લાઈટ પાણી ગટર કનેક્શન આપ્યા છે.
વીસ હજારથી વધુ મકાનો બંધાયેલ હોવા છતાં ચોક્કસ વિસ્તારને ઇરાદાપૂર્વક પસંદ કરી નોટિસ અપાઈ હોવાનો રોષ આ વિસ્તારના લોકોએ ઠાલવ્યો હતો. કંસારા કાંઠાના સેંકડો પરિવારોને રહેણાંકનો પ્રશ્ન ઉદ્ભવે તેમ હોય, તાકીદે સ્લમ તોડવાની પ્રક્રિયા સ્થગિત કરી નોટિસ પાછી ખેંચવા અને પબ્લિક હિયરિંગ કરી લોકોને વિશ્વાસમાં લઇને નિર્ણય કરવામાં આવે તેમ જ વર્તમાન સ્થિતિનો સર્વે કરી હુકમ થાય હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટના આદેશ નિર્દેશો નું પૂરેપૂરું પાલન થાય તેવી માંગ ઝુપડા સંઘે કરી છે.
જોકે આ અંગે સિપીએમ નેતા અરુણ મહેતા લોકો માટે લડી લેવાના મૂડમાં છે. જ્યારે આ અંગે મેયર ને પૂછતા તેમણે જણાવેલ કે ભાવનગરના તમામ લોકોની માંગ હતી કે કંસારાના વિકાસનું કામ કરવામાં આવે, જે કામ હાથ ધરાયેલ છે. અસરકર્તા લોકોને પણ અમે સાંભળ્યા છે તેમનું હીત પણ વિચારવામાં આવશે.