ભાવનગર: નિકાસની છૂટ મળતા યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો, ખેડૂતોના ભાગે નર્યો નિ:સાસો, શક્તિસિંહે ગણાવી ચૂંટણીલક્ષી લોલિપોપ- વીડિયો
ભાવનગર: ડુંગળીની નિકાસની છૂટ મળતા ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. જો કે તેનો ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી દેખાઈ રહ્યો. નિકાસની છૂટ અપાઈ પરંતુ હાલ ખેડૂતો પાસે ડુંગળીનો સ્ટોક જ બચ્યો નથી.
ભાવનગર: નિકાસની છૂટ આપ્યા બાદ ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો નોંધાયો છે અને 20 કિલો ડુંગળી રૂપિયા 200થી લઇને 410ના ભાવે વેચાઇ છે. આપને જણાવી દઇએ કે માર્કેટ યાર્ડમાં આજે 70 હજાર ગુણી ડુંગળીની આવક થઇ છે. ભલે ડુંગળીના ભાવ વધ્યા, પરંતુ ખેડૂતોને તો અભાવ જ છે. નિકાસની છૂટ બાદ પણ ખેડૂતને તો રડવાનો જ વારો આવ્યો છે.
સ્ટોક જ નથી બચ્યો તો નિકાસની છૂટથી શું ફાયદો?
ખેડૂતોએ અગાઉ જ નજીવા દરે ડુંગળી વેચી દીધી હોવાથી હાલ વધેલા ભાવનો તેમને કોઈ લાભ નહીં મળે. હવે ખેડૂતો પાસે ડુંગળીનો જરાય સ્ટોક નથી, તેવા સંજોગોમાં કેન્દ્રએ નિકાસની છૂટ આપતા ખેડૂતો નિસાસો નાખી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે ડુંગળીની નિકાસની છૂટનો લાભ માત્ર વેપારીઓને કે સંગ્રહખોરોને મળશે. ખેડૂતોનો આરોપ છે કે સરકારે વેપારીઓને લાભ કરાવવા માટે નિર્ણય લીધો છે. મહત્વપૂર્ણ છે કે આજના દિવસે ભાવનગરમાં 70 હજાર ગુણી ડુંગળીની આવક નોંધાઇ છે.
નિકાસની છૂટને શક્તિસિંહે ગણાવી ચૂંટણીલક્ષી લોલિપોપ
સરકારના નિકાસબંધી હટાવવાના નિર્ણયને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે લોલિપોપ સમાન ગણાવ્યો. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો છે કે માત્ર 3 લાખ ટન ડુંગળીની નિકાસથી ખેડૂતોને લાભ નહીં. થાય. તેમણે આક્ષેપ કર્યો કે ઓગષ્ટ 2023થી મોદી સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ટેક્સ લગાવી દીધો ત્યારબાદ ડિસેમ્બર 2023થી ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો. જેના કારણે ખેડૂતોને નજીવા દરે ડુંગળી વેચવાનો વારો આવ્યો. ઉત્પાદન ખર્ચ તો છોડો પરંતુ ખેતરમાંથી ડુંગળી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવામાં પણ જેટલો ખર્ચ થાય એટલા ખર્ચનું વળતર પણ ખેડૂતોને નિકાસબંધીને કારણે મળ્યુ નથી.
સંગ્રહખોરોને ફાયદો પહોંચાડવા નિકાસની અપાઈ છૂટ- કોંગ્રેસ
ભાવ ન મળતા ખેડૂતોએ નજીવા દરે ડુંગળી વેચી દીધી. કેટલાક ખેડૂતોએ રસ્તા પર ઉતરી દેખાવો કર્યા. રસ્તા પર ડુંગળી ફેંકી દીધી પરંતુ સરકારના પેટનું પાણી ન હલ્યુ અને હાલ જ્યારે ખેડૂતો પાસે ડુંગળીનો સ્ટોક જ નથી બચ્યો એવા સમયે સરકારે નિકાસની છૂટ આપી છે. હાલ સરકારના આ નિર્ણયથી કેટલાક સંગ્રહખોર વેપારીઓને જ ફાયદો થશે તેવો સીધો આરોપ શક્તિસિંહે લગાવ્યો છે. નિકાસબંધીના નિર્ણયને તેમણે વેપારીઓને ફાયદો પહોંચાડવા ચૂંટણીલક્ષી જાહેરાત કરી હોવાનું જણાવ્યુ.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar