Bhavnagar: મહાનગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, શહેરમાં તળાવ અને નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા
ભાવનગરમાં (Bhavnagar) અડધાથી દોઢ ઇંચ વરસાદ (Rain) વરસતા શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિકો, રાહદારીઓ, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
ભાવનગર (Bhavnagar) મનપાનો પ્રિ-મોન્સૂન પ્લાન (Pre-monsoon plan) પાણીમાં તરતો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અંદાજે 50 લાખ ઉપરાંતના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી, ત્યારે ભાવનગરમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ (Rain) વરસતા શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિકો, રાહદારીઓ, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. 50 લાખ ઉપરાંતના ખર્ચે કરવામાં આવેલ પ્રિમોન્સુન કામગીરીમાં કરેલ ખર્ચ અને કામગીરીમાં શંકાના વાદળો ઘેરાયા છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાજનો પાસે પૂરતો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. એક રૂપિયો પણ બાકી રાખવામાં આવતો નથી. જો કે બીજી તરફ તેના બદલામાં મહાનગરપાલિકા શહેરીજનોને સુવિધા પૂરી પાડવાની બાબતમાં નાપાસ થયું હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ વરસાદમાં મહાનગરપાલિકાના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચ પ્રિમોન્સૂન કામ પાછળ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર અને સ્થાનિક લોકોની કામગીરી ઠપ્પ થઇ રહી છે તેમ છતાં મનપાના સત્તાધીશો સબ સલામતની વાતો કરી રહ્યા છે.
મનપા તંત્રની આંખ ખુલી
ચોમાસાના આગમનના બે મહિના પહેલા જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરુ કરવામાં આવતી હોય છે. પરંતુ ભાવનગર મહાનગરપાલિકાએ આ વર્ષે પણ હંમેશાની માફક અંત સમયમાં કામગીરી શરૂ કરી. અત્યારે ચોમાસાના આગમન પછી પણ મોટાભાગના વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ થઇ નથી. હાલ પ્રી મોન્સૂન કામગીરી અંગે મહાનગરપાલિકા સામે સવાલો ઉભા થતા મહાનગરપાલિકાના સત્તાધીશોની આંખ ખુલી છે અને મહાનગરપાલિકાની ટીમને સ્થળ પર વિઝિટ કરીને પહેલા વરસાદ બાદ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા તાકીદે સૂચના આપવામાં આવી છે. આ ઘટનાથી ભાવનગર મનપાની પ્રિમોન્સૂન કામગીરીમાં થયેલી લોલમલોલ સામે આવી છે. મનપાની બેદરકારીના કારણે મોટાભાગના વિસ્તારોમાં નદીઓ અને તળાવની જેમ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના યોગ્ય કામગીરીના દાવા
વરસાદ થતા જ ભાવનગર શહેરના બોરતળાવ, કાળીયાબીડ, ગૌરીશંકર સોસાયટી, ચિત્રા વિસ્તાર, નિલમબાગ, કુંભારવાડા સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જ્યારે પણ વરસાદ શરૂ થાય છે ત્યારે રોડ રસ્તા બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. તેમ છતાં મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી પૂરતી કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જ્યારે શહેરની હકીકતની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે.
કોંગ્રેસ નેતાએ શાસક પક્ષને આડે હાથ લીધા
બીજી તરફ આ અંગે કોંગ્રેસ નેતા જયદીપસિંહ ગોહિલે શાસક પક્ષને આડે હાથ લઈને જણાવ્યું હતું કે, માત્ર નેતાઓને સાચવવામાં સત્તાધીશો મસ્ત છે. જ્યારે પ્રિમોન્સુન કામગીરી માત્ર ભાગબટાઈથી ચાલી રહી છે, 25 વર્ષ કરતાં પણ વધુ સમયથી ભાજપનું શાસન હોવા છતાં પણ પ્રિ-મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે તાકીદે તમામ વિસ્તારોની મેયર અને ચેરમેને મુલાકાત લઇ શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઇએ.