નવસારી નજીક હાઇવે બંધ થતા મુંબઈ તરફ જતા વાહનોને ભરૂચ નજીક પોલીસે અટકાવ્યા
ભરૂચ જિલ્લામાં દહેજ , વિલાયત ,અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા સહીતની ઔદ્યોગિક વસાહતોમાં સેંકડો ઉદ્યોગો ધમધમે છે. ભરૂચ જિલ્લામાં 70 ટકાથી વધુ ઉત્પાદન ઈમ્પોર્ટ - એક્સપોર્ટ આધારિત છે ત્યારે નેશનલ હાઇવે બંધ થવાથી ઉદ્યોગોને કરોડોનું નુકસાન થયું છે.
નવસારી(Navsari) નજીક નેશનલ હાઇવે 48 ઉપર વરસાદી પાણી ફરી વળતા હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે વલસાડથી નવસારી વચ્ચે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળતા હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસે માર્ગમાં વાહનોના જમાવડાની અને અવ્યવસ્થાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે ભરૂચ નજીક સુરતથી આગળનો પ્રવાસ ખેડવા માંગતા વાહન ચાલકોના વાહન અટકાવ્યા હતા. ભરૂચ પોલીસે હાઇવે ઉપર ઉભા રહી મુંબઈ તરફ જતા વાહચાલકોને સાવચેત કરી માર્ગદર્શન આપ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદના કારણે ચીખલી – વલસાડ હાઈવે બંધ કરવામાં આવ્ચો છે. વડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકોને ભરૂચ પોલીસે અટકાવી નવસારી આસપાસની પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. પોલીસકર્મીઓ સવારથી સતત વાહનચાલકોને આ માર્ગે મુંબઈ તરફ પ્રવાસ ટાળવા અને વૈકલ્પિક માર્ગ પસંદ કરવા જણાવતા હતા. ભરૂચમાં પાલેજથી અંકલેશ્વરના ખરોડ સુધી પોઇન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત રહી ટ્રાફિકની સ્થિતિ વાંસે નહિ તેવા પ્રયાસ કરી રહ્યા છે. ભરુચ પોલીસના પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસકર્મીઓએ બેનર સાથે ઉભા રહી વાહનચાલકોને સુરતથી આગળ તરફની સ્થિતિ જણાવી હતી.પોલીસે વાહનચાલકોને નજીકની હોટલ અને ધાબાઓ ઉપર સ્થિતિ સામાન્ય થવાનો ઇંતેજાર કરવા અપીલ કરી હતી. વરસાદના કારણે નવસારી નજીક હાઈવેનો માર્ગ બંધ હોવાથી વાહનચાલકોને આગળ ન જવા અને જે તે સ્થળે જ રોકાઈ જવા અપીલ કરી હતી.
ઉદ્યોગોને કરોડોનું નુકસાન
ભરૂચ જિલ્લામાં દહેજ , વિલાયત ,અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા સહીતની ઔદ્યોગિક વસાહતોમાં સેંકડો ઉદ્યોગો ધમધમે છે. ભરૂચ જિલ્લામાં 70 ટકાથી વધુ ઉત્પાદન ઈમ્પોર્ટ – એક્સપોર્ટ આધારિત છે ત્યારે નેશનલ હાઇવે બંધ થવાથી ઉદ્યોગોને કરોડોનું નુકસાન થયું છે. વાહન વ્યવહાર ઠપ્પ થવાથી રો-મટિરિયલ તેમજ ઉત્પાદિત માલની હેરાફેરી પ્રભાવિત થઇ હતી. ભરૂચ જિલ્લામાંથી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત સુધી ઉત્પાદન સંબંધિત ચીજોની હેરફેર થતી હોય છે. ટ્રાંસપોર્ટ ઠપ્પ થવાના કારણે મુંબઈ ડોકયાર્ડમાં નિકાસ માટે રવાના કરેલા કન્ટેનર પહોંચવામાં પણ સમય લાગશે. બીજી તરફ ઈમ્પોર્ટ મટિરિયલ મોડું મળવાથી ઉત્પાદન ધીમું થશે. ઉદ્યોગોને આ સ્થિતિમાં બેવડો માર પડશે.સ્થિતિ સામાન્ય થયા બાદ પણ ઉત્પાદન સામાન્ય થવામાં હજુ એકાદ બે દિવસનો સમય લાગી શકે છે.