Bharuch : વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં 1 લાખથી વધુ લોકોને જોડવાનો સંકલ્પ, તંત્ર તૈયારીઓમાં જોતરાયું
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે . આ ઉજવણીમાં શૈક્ષણિક સંસ્થાઓ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , જિલ્લા પોલિસ હેડકવાર્ટર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અંદાજીત એક લાખથી વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તેમ તેમણે અપીલ કરી હતી.
ભરૂચ(Bharuch) જિલ્લામાં કબીરવડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ ઉજવણી કાર્યક્રમ યોજાશે. જિલ્લામાં આવેલ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ , કબીરવડ અને નવનિર્મિત એક્સપ્રેસ હાઈવે જેવા આઈકોનિક સ્થળોએ યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તારીખ 21 મી જૂન વિશ્વ યોગ દિન(International Day of Yoga)ની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાગૃહમાં બેઠક યોજાઈ હતી . આ અવસરે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે તા .૨૧ જુન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આઝાદીના અમૃત્ત મહોત્સવના અવસરે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ , કબીરવડ અને નવનિર્મિત એક્સપ્રેસ હાઈવે પર વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
એક લાખથી વધુ નાગરિકો ઉજવણીમાં જોડાશે
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે . આ ઉજવણીમાં શૈક્ષણિક સંસ્થાઓ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , જિલ્લા પોલિસ હેડકવાર્ટર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અંદાજીત એક લાખથી વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તેમ તેમણે અપીલ કરી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા વધે એ ઉદ્દેશ્યથી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે.
ભરૂચ જિલ્લાના તમામ ગામોમાં યોગ દિવસની ઊજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય , યોગના દૈનિક જીવનનો ભાગ બનાવવા જાગૃત બને તેવો અનુરોધ કલેક્ટર તુષાર સુમેરાએ કર્યો હતો.જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓની સહભાગિતા તેમજ આબાલવૃદ્ધ નાગરિકો , સંસ્થાઓ , જાહેર કર્મચારીઓ પણ જોડાય એ પ્રકારનું સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું .આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે . ડી . પટેલે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની રૂપરેખા આપી હતી.આયોજનના અમલીકરણ અધીકારીઓ ઉપરાંત વિવિધ યોગ સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .
યોગના ફાયદા
યોગ અને ધ્યાનના અનેક ફાયદા છે. નિયમિત યોગા અને ધ્યાન ઉત્તમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. ધ્યાન કરવાથી આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ છીએ. આ ઉપરાંત આપણી એકાગ્રતા વધે છે. ધ્યાન કરવાથી તણાવમુક્ત રહેવાય છે. તેનાથી મન શાંત રહે છે. તમે દરેક કાર્યને વધુ સારી રીતે કરી શકો છો. બીજી તરફ દરરોજ યોગાસન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી મુક્તિ મળે છે. યોગાસનથી નબળા સ્નાયુઓ અને હાડકાં મજબૂત અને સ્વસ્થ બને છે.