Bharuch : વિવાદોના પગલે હેડ ક્વાર્ટર બદલી કરાયેલા પોલીસકર્મીઓને માફી મળી? 50 પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ અપાયું
પોલીસકર્મીઓને બે દિવસ અગાઉ અધિકારી દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. આ સાથે તક આપવાના પણ સંકેત અપાયા હતા. આખરે બદલીઓના આદેશ મળતા રાહત મળી છે.
ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો. લીના (Dr. Leena Patil, SP Bharuch)પાટીલે વિવાદોમાં ઘેરાયેલા અને ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપોનો સામનો કરી રહેલા પોલસીકર્મીઓની બદલી હેડ ક્વાર્ટર ખાતે કરી કડક મેસેજ આપ્યો હતો. બદલીઓમાં ક્રાઇમ બ્રાન્ચ સહીત જિલ્લાના અલગ – અલગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓનો સમાવેશ કરાયો હતો. લગભગ 1 મહિના સુધી આ પોલીસકર્મીઓને હેડક્વાર્ટર ખાતે રખાયા બાદ હવે તેમને માફી આપવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કુલ 50 પોલસીકર્મીઓની બદલીના આદેશ કરાયા છે જેમાં પોલીસ સ્ટેશનમાં રુઆબદાર તરીકે ઓળખાતા 20 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા 19 મે ના રોજ સાંજના સુમારે પોલીસકર્મીઓની બદલીઓના આદેશ કરાયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા 50 જેટલા પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. સૂત્રો અનુસાર બદલી મેળવનાર મહત્તમ પોલીસકર્મીઓ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા જેમને અલગ – અલગ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. 50 પોલીસકર્મીઓ પૈકી 40 હેડ ક્વાર્ટર ખાતે નોકરી કરતા હતા. આ તમામ પૈકી મોટાભાગના વિવાદિત બાબતોને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા તેમની ફરજના સ્થળેથી હેડ ક્વાર્ટર ભેગા કરી દેવાયા હતા.
ફરજની બાબતમાં કડક પરંતુ માનવતાવાદી સ્વભાવ ધરાવતા ડો. લીના પાટીલે આ પોલીસકર્મીઓને તક આપી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કેટલાક પોલીસકર્મીઓ ઘણા વિવાદમાં રહ્યા હોવા છતાં તેમને પણ એસપી દ્વારા સારી કામગીરી દ્વારા છબી સુધારવાની તક આપવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો હેડ ક્વાર્ટરમાં મૂકી દેવાયેલા પોલીસકર્મીઓને ફરી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળતા તેમણે પણ રાહત અનુભવી હતી.
જે -તે પોલીસ સ્ટેશનમાં પરત બદલી ન અપાઈ
પોલીસકર્મીઓને બે દિવસ અગાઉ અધિકારી દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. આ સાથે તક આપવાના પણ સંકેત અપાયા હતા. આખરે બદલીઓના આદેશ મળતા રાહત મળી છે. જોકે પોલીસ અધિક્ષકે હેડ ક્વાર્ટરમાં મુકાયેલા પોલીસકર્મીઓને તેમની અગાઉની જગ્યાએ પરત મુક્યા નથી.
અગાઉ સામુહિક બદલી સમયે મીઠાઈઓ વહેંચાઈ હતી
ભરૂચ એસપી દ્વારા રુઆબદારોની બદલીના આદેશથી પોલીસકર્મીઓમાં સોપો પડી ગયો હતો પણ પ્રજાનો એક વર્ગ એવો પણ હતો જે પોલીસ વડના નિર્ણયથી ખુબ ખુશ થયો હતો. બદલીઓના આદેશ બાદ જેતે સમયે મીઠાઈઓ પણ વહેંચવામાં આવી હતી.