ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કર્યું, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ શરૂ કરાશે
ગુજરાતના મુખ્યમંત્રીએ આજે ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને(Shamalaji) પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે.
ગુજરાતમાં (Gujarat) અરવલ્લી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષનું(Azadi Ka Amrit Mahotsav) આ આઝાદી પર્વ ઉજવાઇ રહ્યું છે. આ સ્વતંત્રતા પર્વ વિકાસનું પર્વ, વનબંધુ કલ્યાણનું પર્વ બને તે માટે મુખ્યમંત્રીએ આજે ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે. ભિલોડા અને મેઘરજ તાલુકામાં સિંચાઇ સુવિધા માટે મેશ્વો ડેમ માંથી લીફટ ઇરીગેશન દ્વારા પાણી પુરૂં પાડવા 75 કરોડ રૂપિયાની યોજનાને મંજુરી અપાઇ છે. આ લિફટ ઇરીગેશન યોજનાથી ભિલોડા, મેઘરજ બે તાલુકાના 31 તળાવો ભરવામાં આવશે. જિલ્લાના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયાનું ખાસ અનુદાન આપવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.
રાષ્ટ્રભક્તિનો એ માહોલ આપણને પ્રતિત થાય છે.
મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં આઝાદી જંગ ખેલાયો અને આપણને સ્વતંત્રતા મળી છે. ભારત માતાને બ્રિટીશરોની ગુલામીમાંથી મુકત કરાવવાની ઝંખના દેશવાસીઓમાં એ વખતે એટલી પ્રબળ હતી કે, ફનાગીરી અને સરફરોશીની તમન્નાથી અનેક નવયુવાનો ભારત ભક્તિ ના મંત્ર સાથે નીકળી પડયા હતા. આજે પણ રાષ્ટ્રભક્તિનો એ માહોલ આપણને પ્રતિત થાય છે.
સ્વાતંત્ર્ય મેળવવામાં અરવલ્લી જિલ્લાના યોગદાનનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ભાઇ, મોહનલાલ ગાંધી, સુરજીભાઇ સોલંકી, પુરૂષોત્તમદાસ શાહ જેવા રાષ્ટ્રભક્તોએ સ્વદેશી અપનાવી આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી. આ જિલ્લાના આવા રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન કરૂં છું. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને મુખ્યમંત્રીએ બિરદાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા આવા વીર રાષ્ટ્રભકતોની યાદમાં આઝાદીના આ અમૃત મહોત્સવે હર ઘર તિરંગાનું આહવાન કર્યુ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન 1 કરોડ ઘરો પર તિરંગા લહેરાવવાનો નિર્ધાર કર્યો છે. આ નિર્ધારમાં અરવલ્લી જિલ્લાના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.
ગુજરાતને આપણે વિશ્વમાં વિકાસનું બેંચમાર્ક બનાવવું છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે વર્ષ 2013 ની 15 મી ઓગસ્ટે આ જિલ્લાની રચના કરી હતી અને આઝાદીના અમૃત મહોત્સવના આ આઝાદી પર્વે અરવલ્લી જિલ્લો વિકાસના પથ પર નક્કર ડગ માંડી 10 માં વર્ષમાં પ્રવેશ્યો છે એ ગૌરવની વાત છે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને પાછલા બે દશકથી વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે. એટલું જ નહીં, ડબલ એન્જીન સરકારના બેવડા લાભથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. વિકાસની રાજનીતિનો જે માર્ગ વડાપ્રધાનએ કંડાર્યો છે એ જ માર્ગે ચાલીને ગુજરાતને આપણે વિશ્વમાં વિકાસનું બેંચમાર્ક બનાવવું છે. એકાંગી નહિ, સર્વાંગી, સર્વપોષક અને સર્વસમાવેશક વિકાસ એ જ આપણો નિર્ધાર છે. સમાજના નાનામાં નાના માનવી, ગરીબ, વંચિત, પીડિત સૌના વિકાસના મંત્ર સાથે આપની આ સરકાર કર્તવ્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં 663 આવા તળાવો પૂર્ણ કર્યા
મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ખેતી-પશુપાલન જેવી પાયાની માળખાકીય સુવિધા સાથે પાણી, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાતે ઉડીને આંખે વળગે એવી વૈશ્વિક પ્રગતિ કરી છે. બે દાયકા પહેલાં રાજ્યના માત્ર 26 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા મળતું હતુ. નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનને પરિણામે આજે 97 ટકા ઘરોને નળ થી જલ મળે છે. આપણે પાછલા બે દસકમાં દોઢ લાખથી વધુ ચેકડેમ બનાવ્યા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇનો લાભ સાડા ત્રણ લાખ કિસાનોને આપ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન એ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણનું આહવાન કર્યુ છે. ગુજરાતમાં 663 આવા તળાવો પૂર્ણ કર્યા છે આના પરિણામે ગામોની સુંદરતા વધવા સાથે જળસંચય પણ થવાનો છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
ભારતના નિર્માણમાં સ્વતંત્રતાનું આ 75મું પર્વ નવો ઉમંગ નવી ચેતના, નવી ઊર્જા લઇને આવ્યું
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીયે. આ મહોત્સવ એટલે મહામૂલી આઝાદીના વિચારોનું નવા સ્વરૂપે અમૃત મંથન. નયા ભારત, આત્મનિર્ભર ભારત, પ્રગતિશીલ ભારતના નિર્માણનો સંકલ્પ. આપણે આ સંકલ્પો સાકાર કરવા સાથે મળીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવે કાર્યરત થવાનું આહ્વાન કરી તેમણે કહ્યું કે, આ સંકલ્પ પાર પાડવામાં, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્વતંત્રતાનું આ 75મું પર્વ નવો ઉમંગ નવી ચેતના, નવી ઊર્જા લઇને આવ્યું છે.