Anand: હાથીપગાના રોગનું પરીક્ષણ કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા નાઈટ બ્લડ સર્વેલન્સની કામગીરી શા માટે કરાય છે , જાણો રસપ્રદ વિગતો
આ રોગનો ફેલાવો કરતાં માદા ક્યુલેકસ મચ્છરો ગંદા પાણીમાં જ પેદા થતાં હોવાથી જાહેર જનતાને તેમની આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી જમા ન થવા દેવા, તેમજ મચ્છર કરડે નહી તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
આણંદ જિલ્લામાં હાથીપગાના રોગ સામે સાવચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા બ્લડ સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે, જોકે આ બ્લડ સર્વેલન્સની કામગીરી રાત્રે જ શા માટે કરવામાં આવે છે તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા રસપ્રદ તથ્યો જણાવવામાં આવી હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે હાથીપગા રોગના જીવાણુઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 8થી 12ના સમયગાળામાં લોહીના નમૂના લઈ ચકાસણી કરવામાં આવે છે.
શું છે હાથીપગાનો રોગ?
આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા મેલેરીયા અધિકારીના જણાવ્યા પ્રમાણે હાથીપગો (ફાઇલેરીયા) એ લીમફએટિક ફાઇલેરીયાસીસ કૃમિથી થતો રોગ છે. જે સામાન્ય રીતે ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ ચેપી મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગમાં ચેપ લાગ્યાના શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ 6થી 8 વર્ષ બાદ હાથ-પગ સૂજી જવા, લસીકા ગ્રંથીઓ ફૂલી જવી અથવા હાઈડ્રોસીલ જેવા લક્ષણો જોવા મળે છે, જે શરીરના કોઈ પણ અંગને અસર કરે છે.
આ રોગના જીવાણુઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 8થી 12 ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવામાં આવે છે. લોહીના પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિમાં આ રોગના જીવાણુઓ દેખાય તો તાત્કાલિક સારવાર આપીને ચેપ ફેલાતો અટકાવી શકાય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની સૂચનાને પગલે આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મેઘા મહેતાના અને ઇન્ચાર્જ જિલ્લા મેલેરીયા અધિકારી ડો. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા 15 જાન્યુઆરીથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં નાઈટ બ્લડ સર્વેલન્સમાં આણંદ તાલુકામાંથી 318, ખંભાત તાલુકામાંથી 282 બોરસદ તાલુકામાંથી 394, ઉમરેઠ તાલુકામાંથી 323 ,આંકલાવ તાલુકામાંથી 100 સોજીત્રા તાલુકામાંથી 240 અને તારાપુર તાલુકામાંથી 217 એમ કુલ મળી 1874 લોહીના નમૂના લેવામાં આવ્યા છે, જે પૈકી એક પણ પોઝીટીવ રિપોર્ટ આવેલા નથી, તેમજ આ કામગીરી 31મી જાન્યુઆરી સુધી કરવામાં આવશે.
આ રોગનો ફેલાવો કરતાં માદા ક્યુલેકસ મચ્છરો ગંદા પાણીમાં જ પેદા થતાં હોવાથી જાહેર જનતાને તેમની આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી જમા ન થવા દેવા, તેમજ મચ્છર કરડે નહી તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અપીલ કરી છે. હાલમાં બાકરોલ, વેરખાડી, ઉમરેઠ, સુંદલપુરા, બોરસદ, બોચાસણ, આંકલાવ, બામણગામ, પેટલાદ, સિમરડા, સોજીત્રા, દેવા-તળપદ, ખંભાત (લાલ દરવાજા), કલમસર, તારાપુર તેમજ ખડામાં ચાલી રહેલી લોહી ચકસણીની કામગીરીનો લોકોને વધુમાં વધુ લાભ લેવા જણાવાયું છે.