અગિયારસ અને વરસાદના શુકનને માથે ચઢાવીને ખેડુતોએ વાવણીની શરૂઆત કરી, અમરેલીના વડિયામાં 34 મિમી વરસાદ, ચેકડેમ છલકાયો
રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વધતા ઓછા અંશે વરસાદ (Rain)થયો છે ત્યારે અમરેલીના (Amreli) વડિયામાં 34 મિલીલિટર વરસાદ નોંધાયો હતો. સારા વરસાદ બાદ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે.
અમરેલીમાં (Amreli) છેલ્લા ત્રણ દિવસથી (Rain)વરસાદ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો ખુશખુશાલ છે અને વાવણીની શરૂઆત પણ કરી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે. રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વધતા ઓછા અંશે વરસાદ થયો છે ત્યારે અમરેલીના વડિયામાં 34 મિલીલિટર વરસાદ નોંધાયો હતો. તો જાફરાબાદમાં પણ અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા લોકો ખુશ થઈ ગયા હતા. તો અમરેલીના રાજુલામાં વરસાદ બાદ ખેડૂતોએ મગફળી, ઘઉં સહિતના પાકની વાવણીની શરૂઆત કરી છે. તો અમરેલીના જાફરાબાદ તાલુકાના હેમાળ, લોર, ફારચિયા, પીછડી, મીઠાપુરમાં વરસાદી ઝાંપટાથી ઠંડક પ્રસરી છે.
ભીમ અગિયારસથી કરતા હોય છે વાવણીની શરૂઆત
અમરેલીના રાજુલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભીમ અગિયારસે મુર્હુત કરીને ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. વરસાદ આવતા પહેલા ખેડૂતો અહીં મગફળીનું વાવેતર કરી રહ્યા છે સાથે સાથે અન્ય પાક માટે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ચણા, ઘઉં, સહિત અન્ય વિવિધ પાકોનું વાવેતર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મગફળીનું વાવેતર અન્ય વિસ્તારમાં પણ સારૂ જોવા મળશે.
તાઉતેથી થયેલું નુકસાન ભરપાઈ થશે તેવી ખેડૂતોને આશા
આ વર્ષે ખેડૂતો એવી આશા પણ સેવી રહ્યા છે કે ગત વર્ષે તાઉતે વાવાઝોડાને કારણે તેમને નુકસાન થયું હતું પરંતુ આ વર્ષે જો આવું કોઈ વાવાઝોડું ન આવે તો સારો પાક મળી શકે છે અને નુકસાનની ભરપાઈ થઈ શકે છે. નોંધનીય છે કે ગત વર્ષે તાઉતે વાવાઝોડાને પગલે અમરેલી, ગીર સોમનાથમાં ખેડૂતોના ઉભા પાકનો નાશ થયો હતો અને આંબાવાડિયામાં આંબા સહિતના અન્ય ફળાઉ ઝાડ પણ ધરાશાયી થઈ ગયા હતા. ત્યારે હવે આ વર્ષે નુકસાનની ભરપાઈ થાય તે માટે ખેડૂતોએ મેઘરાજાને પ્રાર્થના કરી હતી.
અમરેલીમાં આવ્યું હતું પહેલા જ વરસાદમાં પૂર
અમરેલી જિલ્લામાં 8 જૂનથી રોજ થોડો થોડો વરસાદ વરસી રહ્યો છે. અમરેલીમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. સાથે સાથે પહેલા વરસાદના આગમનને ગ્રામજનએ ઉત્સાહથી વધાવી લીધું હતું. અને અમરેલીની જરખિયા નદીમાં પહેલા જ વરસાદમાં પૂર આવી ગયું હતું અને નદી છલકાઈ ગઈ હતી. ઉનાળાના સમયમાં નદી નાળા સૂકાઈ ગયા હતા તેને આ ટૂંકા ગાળા માટે આવેલા વરસાદને પગલે નવજીવન મળ્યું હતું. માત્ર બે કલાક વરસેલા વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા હતા અને નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદના આગમનના પગલે ગ્રામજનો સહિત ખેડૂતો અને બાળકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી અને વાતાવરણ ખુશ્નુમા થઈ ગયું હતું.