Breaking News : અમદાવાદ વિમાન દુર્ઘટનાની આંતરરાષ્ટ્રીય તપાસ શરૂ, UK એજન્સી સહિત અનેક ટીમો ઘટનાસ્થળે તપાસમાં જોતરાઈ, જુઓ Video
અમદાવાદના મેઘાણીનગરમાં થયેલા એર ઈન્ડિયાના વિમાન ક્રેશની તપાસમાં યુકેની ટીમ પણ જોડાઈ છે. યુકે ડેલિગેશને ઘટનાસ્થળે બે કલાકથી વધુ સમય પસાર કરીને સેમ્પલ એકત્ર કર્યા છે. ત્રીજા દિવસે પણ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે. સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને ડીએનએ મેળ ખાતા મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ આવેલી વિમાન દુર્ઘટના બાદ હવે તપાસનો ઘેરવાવર્તુળ વિસ્તરતો જઈ રહ્યો છે. સ્થાનિક અને રાષ્ટ્રીય એજન્સીઓ બાદ હવે આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહી છે. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સની નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ (NTSB) તથા આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ની વિશેષ ટીમો અમદાવાદ ખાતે મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ સાઇટ પર તપાસમાં જોડાઈ ગઈ છે. UK થી એજન્સીઓ પણ આ કામમાં લાગી છે.
ત્રીજા દિવસે પણ તપાસ અવિરત, સેમ્પલિંગ અને કાટમાળનું નિરીક્ષણ ચાલુ
આજ ત્રીજા દિવસે પણ વિમાન દુર્ઘટનાની તપાસ માટે સ્થાનિક પોલીસ, એવિએશન વિભાગ, એનઆઈએ તથા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમે પોતાની કાર્યવાહી આગળ ધપાવી છે. ઘટનાસ્થળે વિમાનનો પાછળનો ભાગ બે અલગ-અલગ ક્રેનની મદદથી હટાવવામાં આવ્યો છે. દરેક એજન્સી તરફથી પ્લેનના કાટમાળનું બારીકીથી નિરીક્ષણ થઈ રહ્યું છે, તથા વિમાની તકલીફ અને ટેકનિકલ ખામીઓને સમજવા વિવિધ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
બ્લેક બોક્સ રિકવર થયા બાદ તપાસે ઝડપી વેગ પકડ્યો
ગઇકાલે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ રિકવર થતાં તપાસ વધુ ઊંડી અને ટેકનિકલી મજબૂત બની છે. DGCA (Directorate General of Civil Aviation) અને AIIB (Aircraft Accident Investigation Bureau)ની ટીમોએ બ્લેક બોક્સના ડેટા સાથે કામ શરૂ કરી દીધું છે. આ ડેટા વિમાનના ટેક ઓફ, નાવીગેશન, અને મલ્ટિફંક્શનલ સિસ્ટમ્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે, જેના આધારે દુર્ઘટનાનું મૂળ કારણ સમજી શકાય છે.
DNA મૈચિંગના આધારે મૃતદેહો પરિવારજનોને સોપવાની પ્રક્રિયા શરૂ
સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા DNA ટેસ્ટિંગના આધારે હવે મૃતદેહો ઓળખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક ડીએનએ સેમ્પલ મૈચ થયા છે અને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ અને ગૃહ મંત્રી સહિતના અધિકારીઓ સતત પરિસ્થિતિની દેખરેખ રાખી રહ્યા છે.
વિશ્વના વિવિધ ખૂણાથી આવેલા યાત્રીઓ અને ક્રૂ સભ્યોના મોતથી ઊંડો શોક ફેલાયો છે. ત્યારે હવે ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ દ્વારા મળીને વિમાન દુર્ઘટનાના અસલ કારણો શોધવા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. હવાઈ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ તપાસ અગત્યની ગણાય છે, જેના પરિણામો આગામી દિવસોમાં સામે આવશે.