અમદાવાદના શેલામાં એકજ વરસાદે સમસ્યાનો પહાડ ઉભો કરી દીધો છે. ક્યાંક મસમોટો ભૂવો પડ્યો છે તો ક્યાંક માર્ગ બેસી જવાનો ભય છે. તો વળી ક્યાંક રસ્તામાં મસમોટા ખાડા પડ્યા છે જેના કારણે શેલાની સ્થિતિ પહેલાજ વરસાદમાં દયનીય બની છે. શેલાના સમત્વ બંગલોમાં વરસાદ બંધ થઈ ગયાના કલાકો વિતી ગયા હોવા છતા લોકો હજુ ઘરમાં પુરાયેલા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે હજુ પણ પાણી ભરાયેેલા છે. અને સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે શેલાના રહીશો તાત્કાલિક પાણીનો નિકાલ થાય અને ખાડાની સમસ્યાનો અંત આવે તેવી માગ કરી રહ્યા છે.
અમદાવાદમાં ભૂવારાજ જોવા મળી રહ્યું છે ગઈ કાલે શેલામાં મહાકાય ભૂવો પડ્યા બાદ તંત્ર જાગ્યુ અને ભૂવો પુરવાની કામગીરી કરવામાં આવી છે. હાલ પણ લોકો માટે સમસ્યા યથાવત છે અને લોકો ફરીને જવા માટે મજબૂર બન્યા છે. એક તરફ વરસાદથી સમસ્યા તો બીજી બાજુ ભૂવાના કારણે રસ્તો બંધ હોવાથી સમસ્યા. તંત્રના પાપે હાલ શહેરના નવા ડેવલપ થયેલા વિસ્તારની સ્થિતિ દયનીય બની છે
જો કે હાલ તંત્ર દ્વારા આ ભૂવાને માટીનું પુરાણ કરીને બુરવામાં આવ્યો છે. શનિવારે સાંજે અહીં ભુવો પડ્યો હતો જે બાદ આ સમગ્ર માર્ગને કોર્ડન કરીને બંધ કરવામાં આવ્યો છે. 12 કલાક બાદ હજુ અહીં વરસાદી પાણી ભરાયેલા જ છે. આ વિસ્તારમાં રહેતા લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.
સ્કાયસિટી એપાર્ટમેન્ટના 666 જેટલા ફ્લેટ છે અને હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે અહીં ભુવો પડવાને કારણે ગેસ લાઈન બંધ થઈ ગઈ છે અને અહીંના તમામ રહીશોના ઘરમાં રસોઈ બની શકી નથી. માત્ર બે કલાકના વરસાદમાં નઘરોળ વહીવટના પાપે લોકો કેટલી હદે પરેશાની વેઠી રહ્યા છે તેનો તંત્રને અંદાજો સુદ્ધા નથી.
માટીનું બુરાણ કરીને ભુવો તો પુરી દેવાયો પરંતુ અહીં તમામ ઘરોમાં ગેસ લાઈન બંધ છે. તેમના ઘરમાં ચા પણ બની શકી નથી. રસોઈ તો દૂરની વાત છે. ઓર્કિડ સ્કાય સિટીમાં રહેતા 666 ફ્લેટના રહીશો બહારનું ભોજન મંગાવવા મજબૂર બન્યા છે અને રહીશો ઝડપથી ફરી ગેસની લાઈન ચાલુ કરવાની માગ કરી રહ્યા છે
કોર્પોરેશનને યોગ્ય વ્યવસ્થાપૂર્ણ કામગીરી ન કરતા આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. કરોડોનો ટેક્સ ચુકવ્યા બાદ શહેરીજનોને સુવિધાના નામે નરી સમસ્યાનો જ સામનો કરવો પડી રહ્યો છે. દરેક વિસ્તારોમાંથી આ જ પ્રકારે બદ્દથી બદ્દતર સ્થિતિના દૃશ્યો સામે આવી રહ્યા છે. માત્ર થોડા વરસાદમાં જ ઘાટલોડિયા વિસ્તારમાં અલ્કાપાર્ક સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા અને ઘરવખરીને પારાવાર નુકસાન પહોંચ્યુ છે, તેની ભરપાઈ કોણ કરશે. ત્યારે મનપાના જાડી ચામડીના અધિકારીઓને સવાલ કરવાનુ મન થાય કે ટેક્સ ચુકવ્યા પણ હાલાકી જ સહન કરવાની હોય તે ટેક્સ શાનો વસુલવામાં આવે છે. અહીં તો શહેરીજનોને બંને સાઈડથી માર પડી રહ્યો છે, દર વર્ષે ટેક્સ પણ ભરો અને નુકસાની પણ ભોગવો.