Ahmedabad: બ્યુટીફિકેશનના નામે લાખોનો ખર્ચ, છતાં તળાવોની બદસુરતી યથાવત
શહેરની સરખેજ હેરિટેજમાં (Heritage) આવેલુ રોઝા તળાવ એક પર્યટન સ્થળ તરીકે પણ જાણીતું છે પણ આ રોઝા ડેવલપ તો કરાયુ પણ મેઈન્ટન્સના અભાવે આ તળાવની હાલત બતર બની છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરમાં વિકાસના કામો તો કરાય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે શહેરમાં આવેલા તળાવો (Lake) એક વાર ડેવલપ કરી દેવાય છે પણ બાદમાં તેની કોઈ જાળવણી (Lake Maintance) રાખવામાં આવતી નથી. જેને કારણે પરિસ્થિતિ એવી સર્જાય છે કે તળાવોની હાલત બદથી પણ બદતર બની જાય છે.
મેઈન્ટન્સના અભાવે સરખેજ તળાવની હાલત બદથી પણ બદતર
શહેરનું હેરિટેજ અને જૂનું અને જાણીતું સરખેજ રોઝા તળાવ કે જેનું વિદેશ સુધી નામ છે. આ હેરિટેજમાં (Heritage) આવેલુ રોઝા તળાવ એક પર્યટન સ્થળ તરીકે પણ જાણીતું છે. જેથી વિદેશીઓ પણ આ સ્થળને નિહાળવા આવતા હોય છે પણ સરખેજની ખુબસુરતીમાં ચાર ચાંદ ઉમેરતુ આ રોઝા ડેવલપ તો કરાયુ પણ મેઈન્ટન્સના અભાવે આ તળાવની હાલત બતર બની છે. તળાવના પગથિયાં તૂટી ગયા છે, જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ, તૂટેલી વૃક્ષ ની ઝાળી, પાણી વગર કોરું તળાવ.હાલ તળાવમાં રમતા બાળકો અને તળાવમાં ફરતા પશુ આ સરખેજ રોઝા તળાવના બ્યુટીફીકેશનની પોલ ખુલી પાડી દીધી છે. વિદેશીઓનું મનપસંદ સ્થળ સરખેજ તળાવ હાલ મેઈન્ટન્સના અભાવે બદથી પણ બદતર બની ગયુ છે. હાલ લોકો આ તળાવની જાળવણીની માંગ કરી રહ્યા છે.
ચાંદલોડિયા તળાવની પણ હાલત ખરાબ
ઉપરાંત શહેરના પોસ વિસ્તારમાં આવેલ ચાંદલોડિયા તળાવની પણ હાલત ખરાબ છે. એક તરફ તળાવને ફરતે બનાવેલ પારી અને રેલિંગ તૂટેલી છે તો તળાવને ફરતે મુકવામાં આવેલા બેસવા માટેના બાંકડા તૂટેલા છે. તેમજ તળાવ પાસે ગંદકી પણ છે. જેના કારણે સ્થાનિકો પરેશાન છે. તળાવ પાસે કચરો ઠલવાતા લોકોને ગંદકીના કારણે દુર્ગંધ આવે છે તો તળાવમાં પાણીનો પણ નામો નિશાન નથી. જેથી ગરમજ વચ્ચે તળાવ કોરુંકટ પડી રહ્યું છે. જેના કારણે તળાવની ખૂબસૂરતી છીનવાઈ ગઈ છે.
વિપક્ષે તળાવોની જાળવણીને લઈને સત્તાપક્ષને આડે હાથ લીધા
માત્ર સરખેજ રોઝા અને ચાંદલોડિયા તળાવ નહીં પણ શહેરના મોટાભાગના તળાવની હાલત હાલમાં મેઈન્ટેનન્સના કારણે ખરાબ છે. તમને જણાવી દઈએ કે જે તળાવનો મુદ્દો 26 મેના રોજ AMC (Ahmedabad Municipal Corporation)ની મળેલી બોર્ડ મિટિંગમાં વિપક્ષે પણ ઉઠાવ્યો હતો. જેમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યા હતા કે અમદાવાદના તળાવોની વાસ્તવિકતા સતાપક્ષે એ દર્શાવેલ ચિત્ર કરતા અલગ અને કડવી છે. ઉપરાંત વિપક્ષે આક્ષેપ કર્યા હતો કે અમદાવાદમાં કેટલા તળાવો છે અને તેનો વહીવટ કોણ કરે છે તે સૌથી મોટું રહસ્ય છે. કારણ કે મ્યુ.કોર્પોના એન્જીનિયર વિભાગના કહેવા મુજબ 142 તળાવ છે, જ્યારે ખરેખર કોર્પો. પાસે ફક્ત 26 તળાવો છે અને તેની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે.
એટલું જ નહીં પણ વિપક્ષે માહિતી આપતા જણાવ્યું કે કોર્પોશન દ્વારા જે તળાવો ડેવલપ કરવામાં આવ્યા જેવા કે વસ્ત્રાપુર, મેમનગર, સૈજપુર બોધા, અસારવા, નિકોલ, મલાવ તળાવ, પ્રહલાદનગર પંચા તળાવ, સરખેજ રોજા તળાવ, ચંડોળા તળાવ આ તમામ તળાવોની પરિસ્થિતી ખુબ જ દયનીય છે. આ તળાવો સ્ટોર્મ વોટરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુબ જ ઉપયોગી છે. આ માટે પ્રધાનમંત્રી દ્વારા સુજલામ સુફલામ યોજના પણ અમલમાં મુકી હતી. પરંતુ કોર્પોરેશન પાસે આયોજનનો અભાવ હોવાના કારણે આ તમામ યોજનાઓ નિષ્ફળ ગઈ છે તેવા વિપક્ષે આક્ષેપ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે તળાવના વિકાસ સ્થાનિકોને તેમના વિસ્તારમાં એક સારી સુવિધા અને સૌંદર્યનું એક સ્થળ મળી રહે તે માટે કરવામાં આવી રહ્યો છે. તેમજ વરસાદી પાણીનો તળાવમાં સંગ્રહ કરી શકાય તેમજ વરસાદી પાણી ભરાતા હોય તે પાણી તળાવમાં ડાયવર્ટ કરી વરસાદી પાણીની સમસ્યા દુર કરવાનો પણ હેતુ છે પણ તે અહીં થતું જોવા મળતું નથી હોતું. તેમજ બ્યુટીફીકેશનના નામે લાખો ખર્ચ છતાં તેની સામે લોકોને સુવિધા મળી નથી રહી. તેમજ ગરમી દરમિયાન તળાવોમાં એક ટીપું પાણી નહીં રહેતા પણ તળાવોનું સૌંદર્ય છીનવાઈ રહ્યું છે અને મેઈન્ટેનન્સના અભાવના કારણે પણ તળાવની હાલત પહેલા કરતા ખરાબ થઈ રહી છે. ત્યારે હવે જ્યારે ચોમાસુ નજીક છે તેવા સમયે કોર્પોરેશન (AMC) આ તળાવોને કેવી રીતે ભરશે. વરસાદી પાણીની સમસ્યા કેવી રીતે દુર કરશે અને તળાવોનું બ્યુટીફીકેશન પણ કેવી રીતે કરશે તે મોટો સવાલ છે.