PM MODIએ સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજન કર્યું
PM Modi Inaugurated Sardardham : સરદારધામમાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે.
AHMEDABAD : શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદારધામનું વડાપ્રધાન મોદી (PM MODI)એ આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું અને સાથે જ કન્યા છાત્રાલયનું પણ ઇ-ભૂમિપૂજન પણ કર્યું. આ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, પૂર્કેવ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા સહીતના અગેવાનો ઉપસ્થિત રહ્યાં.
અમદાવાદમાં 200 કરોડના ખર્ચે 11 હજાર 670 સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું PM મોદી ઇ-લોકાર્પણ કર્યું છે.જ્યારે, અહીં બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનશે, જેનું વડાપ્રધાન મોદી દ્વારા ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી પાસે કોઈ પણ શુભ કાર્ય પહેલા ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. સદભાગ્યે, સરદાર ધામ ભવનની ગણેશપૂજા તહેવારના શુભ પ્રસંગે કરવામાં આવી રહી છે.ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, આજે આખો દેશ ગણેશ ઉત્સવ મનાવી રહ્યો છે. હું તમને બંને તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું આપણા પ્રેરણાદાયી લોખંડી પુરુષ સરદાર સાહેબના ચરણોમાં પણ નમન કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ આપું છું.સરદારધામના તમામ સભ્યોને અભિનંદન જેમણે સેવાના આ અદ્ભુત પ્રોજેક્ટને તેમના સમર્પણથી આકાર આપ્યો છે.”
વડાપ્રધાન મોદીએ આજની તારીખ 11 સપ્ટેમ્બરના રોજ ભૂતકાળમાં થયેલા બનાવો – પ્રસંગોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું આજે 11 સપ્ટેમ્બર એટલે કે 9/11 છે.વિશ્વના ઇતિહાસમાં એક એવી તારીખ જે જાણીતી છે કે માનવતા પર એક પ્રહાર છે.પણ આ તારીખે સમગ્ર વિશ્વને ઘણું શીખવ્યું! એક સદી પહેલા 11 સપ્ટેમ્બર, 1893 ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદ યોજાઈ હતી.આ દિવસે સ્વામી વિવેકાનંદ એ વૈશ્વિક મંચ પર ઉભા રહ્યા અને વિશ્વને ભારતના માનવ મૂલ્યો સાથે પરિચય કરાવ્યો.આજે વિશ્વને ખ્યાલ આવી રહ્યો છે કે 9/11 જેવી દુર્ઘટનાનો કાયમી ઉકેલ હશે, માત્ર માનવતાના આ મૂલ્યો દ્વારા.
જો સરદારધામની સુવિધાઓ વિશે વિગતે વાત કરીએ તો, સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1000-1000 વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ છે..સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2 માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટીશ્રી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે..સરદારધામમાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે.