Monsoon 2022: ગુજરાતમાં સીઝનનો 84.26 ટકા વરસાદ વરસ્યો, 8 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ (Rain) છે. ગત વર્ષે 14 ઓગસ્ટ સુધી 12.18 ઈંચ સાથે રાજ્યમાં સીઝનનો સરેરાશ માત્ર 36.84 ટકા વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં (Gujarat) આ વખતે મેઘરાજા (Monsoon 2022) મન મૂકીને વરસ્યા છે. ગુજરાતના દરેક વિસ્તારમાં સારો એવો વરસાદ (Rain) વરસી ચુક્યો છે. અત્યાર સુધી સીઝનનો 84.26 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે 14 ઓગસ્ટ સુધી 12.18 ઈંચ સાથે રાજ્યમાં સીઝનનો સરેરાશ માત્ર 36.84 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ પણ વધુ છે. આ વખતે રાજ્યના 41 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છમાં સૌથી વધુ 135 ટકા વરસાદ
ગુજરાતમાં આ વખતે કચ્છમાં સૌથી વધુ 135 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 55 ઈંચ સાથે સીઝનનો 94 ટકા, સૌરાષ્ટ્રમાં 21.12 ઈંચ સાથે સીઝનનો 79 ટકા, ઉત્તર ગુજરાતમાં 21.15 ઈંચ સાથે મોસમનો 75 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 23 ઈંચ સાથે સીઝનનો 73 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં 91 ઈંચ આ સિવાય ડાંગમાં 77 ઈંચ, નવસારીમાં 70 ઈંચ જ્યારે નર્મદામાં 53 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં 100 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કપરાડામાં 127 ઈંચ અને ધરમપુરમાં 103 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં પડયો છે. દાહોદમાં 13 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 46 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં માત્ર 14 ઈંચ, ભાવનગરમાં 15.15 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી 29.37 ઈંચ સાથે સૌથી વધુ 94 ટકા જ્યારે સાણંદમાં 10.07 ઈંચ સાથે સીઝનનો સૌથી ઓછો 32ટકા વરસાદ નોંધાયેલો છે.
નર્મદા ડેમ 88.64 ટકા ભરાયો
આ સાથે જ ગુજરાતની જીવાદેરી સમાન નર્મદા ડેમ 88.64 ટકા ભરાયો છે. જેના કારણે ખેડૂતો અને વહીવટી તંત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 135.24 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાંથી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જળસ્તર જાળવી રાખવા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નર્મદા ડેમમાંથી હાલ 4.56 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જળસ્તર જાળવી રાખવા 1.95 લાખ પાણી છોડાઇ રહ્યું છે.