Breaking News : અમદાવાદમાં ગેસ એજન્સીની બેદરકારી બની ભયાનક, જુઓ સિલિન્ડર બ્લાસ્ટના CCTV વીડિયો
અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ ગેસ એજન્સીમાં શ્રેણીબદ્ધ ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયા હતા. બપોરના સમયે થયેલા આ ચાર મોટા બ્લાસ્ટમાં એજન્સી માલિક આકાશ ભાવસાર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા આરોગ્ય ભવનની સામે એક કોમર્શિયલ ગેસ એજન્સીમાં બુધવારે બપોરના સુમારે શ્રેણીબદ્ધ ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ભયાવહ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક સાથે ચાર મોટા બ્લાસ્ટ સ્પષ્ટ દેખાય છે. આ દુર્ઘટનામાં ગેસ એજન્સીના માલિક આકાશ ભાવસાર ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય બે કર્મચારીઓ પણ દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ગેસ રિફિલિંગ કરતી વખતે બની હોવાનું મનાય છે. દુર્ઘટના સમયે એજન્સીમાં 100થી વધુ ગેસના બાટલા મોજૂદ હતા. વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે આજુબાજુના વિસ્તારોમાં પણ તેનો અવાજ સંભળાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગે અનેક ગેસ સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેમાંથી 7થી 8 સિલિન્ડર લીકેજ હાલતમાં જણાયા હતા. ફાયર ફાઇટર્સ દ્વારા સિલિન્ડરોને સતત ઠંડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી, જેથી વધુ વિસ્ફોટો ટાળી શકાયા.
આ ઘટનાની જાણ થતા જ શહેરના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ચીફ ફાયર ઓફિસર પાસેથી સમગ્ર ઘટના અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી. એસ્ટેટ વિભાગ અને કાગડાપીઠ પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેણે આગ લાગવાના અને વિસ્ફોટ થવાના ચોક્કસ કારણો જાણવા માટે નમૂનાઓ એકત્ર કર્યા હતા.
આ ઘટનામાં ત્રણ ટુ-વ્હીલર, એક રિક્ષા અને એક ટેમ્પો સહિતના વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. ઉપરાંત, એજન્સીની બાજુમાં આવેલી એક દુકાનમાં પણ આગ પ્રસરી હતી. જોકે, સદનસીબે આ ઘટના બપોરના સમયે બની હતી, જ્યારે ગીતા મંદિર જેવા વ્યસ્ત વિસ્તારમાં અવરજવર પ્રમાણમાં ઓછી હોય છે. જો આ વિસ્ફોટ વધુ અવરજવરના સમયે થયા હોત, તો વધુ જાનહાનિ થવાની સંભાવના હતી.
આ દુર્ઘટનાએ ગેસ એજન્સીઓની ફાયર સેફ્ટી વ્યવસ્થા અને લાયસન્સ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એજન્સી પાસે પૂરતા ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ નહોતા. વળી, ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી આ એજન્સીમાં નાના સિલિન્ડરોમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.
અમદાવાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ત્રણ લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે, જુઓ Video