Third Wave : ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટેનો એક્શન પ્લાન, જાણો વિગતે
રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 2400 હોસ્પિટલ ઉભી કરશે. રાજ્ય સરકારે બીજા લહેરમાં સરકારી અને ખાનગી મળીને કુલ 1800 હોસ્પિટલની વ્યવસ્થા કરી હતી.
Third Wave : ગુજરાતમાં કોરોના(Corona) ની બીજી લહેર ધીરે ધીરે સમાપ્ત થવા તરફ આગળ વધી રહી છે. તેવા સમયે રાજ્યના કોરોનાની સંભવિત ત્રીજી લહેર(Third Wave) ને લઇને રાજ્ય સરકારે અત્યારથી જ જરૂરી તૈયારીઓ આરંભી દીધી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે કોરોના મામલે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રજુ સોગંદનામું રજૂ કર્યું હતું.
ત્રીજી લહેર માટે ઑક્સીજન બેડની સંખ્યામાં વધારો કરશે
ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કોરોના(Corona)ની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજન મુદે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 2400 હોસ્પિટલ ઉભી કરશે. રાજ્ય સરકારે બીજા લહેરમાં સરકારી અને ખાનગી મળીને કુલ 1800 હોસ્પિટલની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે સરકાર સંભવિત ત્રીજી લહેર માટે ઑક્સીજન બેડની સંખ્યામાં વધારો કરશે. જેના લીધે જો વધુ ઑક્સીજન બેડની જરૂર પડે તો પણ અવ્યવસ્થા ઊભી ના થાય.
30 હજાર આઈસીયુ બેડ ઉભા કરવાનું સરકારનું આયોજન
સરકારે જણાવ્યું હતું કે બીજી લહેરમાં 61 હજાર ઓક્સિજન બેડ હતા જેની સામે ત્રીજી લહેરમાં (Third Wave) 1 લાખ 10 હજાર ઓક્સિજન બેડ ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોનાની બીજી લેહરમાં ICU બેડ 15 હજાર હતા જેની સામે સંભવિત ત્રીજી લહેર માટે 30 હજાર આઈસીયુ બેડ ઉભા કરવાનું સરકારનું આયોજન છે.
પીડિયાટ્રિક બેડ 4 હજાર કરવા કવાયત
હાઇકોર્ટના સોગંધનામામાં સરકારે ઉમેર્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં વેન્ટિલેટર બેડની સંખ્યા 7 હજાર હતી. જે ત્રીજી લહેરમાં 15 હજાર કરવાનું આગોતરું આયોજન હાથ ધરાયું છે. જ્યારે ત્રીજી લહેરના બાળકોને વધુ ચેપ લાગવાની દહેશત વચ્ચે 2 હજાર પીડિયાટ્રિક બેડ સરકારી હોસ્પિટલમાં હાલ ઉપલબ્ધ છે જેને 4 હજાર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ધનવંતરી રથ વધારીને 3000 કરવામાં આવશે
આ ઉપરાંત ગુજરાત સરકારે સોગંધનામાંમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને ખાળવા માટે ધનવંતરી રથોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. જેમાં હાલ 1500 ધનવંતરી રથો છે જેને વધારીને 3000 કરવામાં આવશે. સરકારે પ્રતિદિન હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા બીજી લહેરમાં 1,10,000 હતી જેની કેપીસિટી વધારીને 2,25,000 કરવાનું આયોજન છે.
આ ઉપરાંત સરકાર ત્રીજી લહેર માટે નીચે મુજબનું આયોજન કરી રહી છે.
1. હેલ્થ કેર સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવશે
2. આરોગ્ય સુવિધા એ રીતે ઉભી કરાશે કે દરેક પ્રકારના દર્દીને જરૂરી સારવાર મળી રહે.
3. મૃત્યુદર પણ ઘટાડી શકાય એ મુજબની તૈયારી સરકાર કરી રહી છે.
4. સિસ્ટમ એલર્ટ પ્લાન અંગે કોરોના સંક્રમણના સ્ટેજ આધારિત પ્લાન અંગે પણ સરકારની તૈયારી.
5. ગ્રીન, બ્લ્યુ, યલો, ઓરેન્જ અને રેડ લેવલ જાહેર કરવામાં આવશે.
6. 20 જેટલા નોડલ ઓફિસરની પણ નિમણુંક કરવામાં આવશે.
7. આ નોડલ અધિકારીઓ સતત કોવિડની સ્થિતિ ઉપર નજર રાખશે..
કોરોના સંક્રમણ વધવાની આશંકા દેખાશે એ મુજબ ટેસ્ટિંગ સેન્ટર, ફિલ્ડ ટીમ અને ઘર દીઠ ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે.
આ પણ વાંચો : Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર