હરિયાળું અમદાવાદઃ શહેરમાં ટૂંક સમયમાં 24 જંગલો અને બગીચા બનાવાશે!
બગીચાઓ અને શહેરી જંગલોનો વિકાસ સાયન્સ સિટીની જેમ જ કરવામાં આવશે, અહીં મેડિટેશન ઝોન, ખુલ્લી વ્યાયામશાળાઓ, બાળકોના રમત-ગમતના વિસ્તારો, યોગ કેન્દ્રો અને વોકિંગ માટેના વિસ્તારો હશે
અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) એ શહેરને હરિયાળું બનાવાનું આયોજન કર્યું છે જેમાં શહેરમાં 24 જેગલો (forest) અને બગીચા (gardens) બનાવવામાં આવશે. ગરમી માટે જાણિતા અમદાવાદમાં એક વર્ષ પછી કોંક્રીટના જંગલની મધ્યમાં લીલીછમ હરિયાળી આપણને સખત ગરમીમાંથી રાહત અપાવશે. મહાનગરપાલિકાએ 2022-23 (એપ્રિલ માર્ચ)માં સમગ્ર શહેરમાં 14 નવા બગીચાઓ અને 10 નવા શહેરી જંગલોની યોજના બનાવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ સાત ઝોનમાં 24 નવા શહેરી જંગલો અને બગીચાઓ બનાવવાનું આયોજન કર્યું છે. 10માંથી ત્રણ જંગલો ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા, શીલજ અને સિંધુ ભવન રોડ પર બનાવાશે. શીલજ, બોપલ અને છારોડીમાં ચાર નવા બગીચાઓ બનાવાશે.
વાયુ પ્રદૂષણ ઘટાડવા ઉપરાંત આ પહેલ શહેરને વધુ સુંદરતા પણ આપશે. અધિકારીએ કહ્યું કે આમાંના મોટાભાગના બગીચાઓ અને શહેરી જંગલોનો વિકાસ સાયન્સ સિટીની જેમ જ કરવામાં આવશે. અહીં મેડિટેશન ઝોન, ખુલ્લી વ્યાયામશાળાઓ, બાળકોના રમત-ગમતના વિસ્તારો, યોગ કેન્દ્રો અને વોકિંગ માટેના વિસ્તારો હશે.
કોર્પોરેશન મિયાવાકી (Miyawaki) ટેકનિકનો ઉપયોગ કરીને ગાઢ જંગલ માટે વાવેતર કરશે. આ ટેકનિકમાં છોડની વિવિધ મૂળ પ્રજાતિઓ એકબીજાની નજીક વાવવામાં આવે છે જેથી કેનોપી ફક્ત ઉપરથી જ સૂર્યપ્રકાશ મેળવે છે અને બાજુની તરફને બદલે ઉપરની તરફ વધે છે. પરિણામે, વાવેતર સામાન્ય કરતાં 30 ગણું ગીચ બને છે, 10 ગણું ઝડપથી વધે છે અને ત્રણ વર્ષ પછી જાળવણી-મુક્ત બને છે.
કોર્પોરેશને તેના તાજેતરના પ્લાન્ટેશન પ્રોજેક્ટ્સમાં મિયાવાકી ટેકનિક અપનાવી છે જેના સારા પરિણામો મળ્યા છે. હાલમાં શહેરમાં 80 બગીચા અને ઉદ્યાનો છે.
આ પણ વાંચોઃ સુરત : ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે