બોટાદના ઝેરી દારૂકાંડમાં ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગને લઈને કોંગ્રેસ વિરોધ કરશે, તપાસ માટે નિમાયેલી SITમાં નિષ્ઠાવાન અધિકારીની નિમણુક કરવાની માગ
બોટાદના બરવાળાના રોજિદ ગામે સર્જાયેલી ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)ની ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે.
બોટાદના બરવાળાના રોજિદ ગામમાં થયેલા ઝેરી દારૂકાંડ(Hooch Tragedy)ના પડઘા સંસદ સુધી પડ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે. ત્યારે સંસદથી લઈને સડક સુધી વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસ (Congress) પ્રમુખ જગદિશ ઠાકોર અને કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણી તેમજ મનિષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવામાં રાજ્યની ભાજપ (BJP) સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે સરકારને સવાલ કર્યો છે કે રોજિદ ગામના આગેવાનો અને સરપંચ દ્વારા અનેકવાર પત્ર લખીને જાણ કરાઈ હોવા છતા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દારૂના વેપલામાં બુટલેગર, પોલીસ અને સરકારના ઉચ્ચ અધિકારીઓની મિલિભગત હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
રોજિદ ગામના સરપંચે 4 વખત પોલીસને આપી હતી અરજી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે રોજિદ ગામના જાગૃત સરપંચ અને આગેવાનોએ ત્યાં PSIને 25 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોવાની જાણ કરી હતી અને તાત્કાલિક ગામમાં દારૂબંધી કરવા માટેની અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. છતા પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત ગામના સ્થાનિક વેપારીની દુકાન દુકાન પર દારૂ પીને આવતા તત્વો દુકાનનો સામાન બહાર ફેંકી દેતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા છતા પોલીસે એ દિશામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.
દારૂ અને ડ્રગ્સના ધંધામાં સરકારના અધિકારીઓની ભાગીદારી
જગદિશ ઠાકોરે આક્ષેપ કર્યો ભાજપ જેવી રીતે દરેક ગામ, તાલુકા અને જિલ્લામાં પેજ પ્રમુખની કામગીરી કરે છે તેવી જ રીતે સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ રીતે વહેંચવામાં આવશે, કોણ દુકાનદાર બનશે કોણ હોલસેલના વેપારી બનશે તેવી ચર્ચા હવે લોકોના મુખે ચાલી રહી છે. આજ ગુજરાતમાં ડ્રગ્સ કન્ટેનરમાં આવી રહ્યુ છે.
ગુજરાત કોંગ્રેસ ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની કરશે માગ
જગદિશ ઠાકોરે વધુમાં જણાવ્યુ કે આગામી સમયમાં ગુજરાત ઝેરી દારૂકાંડના વિરોધમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરશે, જેમા યુથ કોંગ્રેસ NSUI, મહિલા મોરચાના કાર્યકર્તાઓને કામગીરી સોંપી દેવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ દારૂબંધીમાં ગુજરાત સરકારની નિષ્ફળતા મુદ્દે ગૃહ પ્રધાનના રાજીનામાની માગ સાથે ધરણા કરશે.