Ahmedabad Cleanest City : ગુજરાતીઓએ કરી બતાવ્યું, ઈન્દોરને પાછળ છોડી અમદાવાદ બન્યું સ્વચ્છતામાં નંબર 1, જાણો કેવી રીતે
સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે. ત્યારે તમને એ જાણવું ગમશે કે AMC ની કઈ એવી ખાસ નીતિ છે જેનાથી ઈન્દોરને પાછળ છોડી અમદાવાદ સ્વચ્છતામાં નંબર 1 બની ગયું...

કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ-2024નો અહેવાલ જાહેર કર્યો છે, જેમાં અમદાવાદ, લખનૌ અને ભોપાલે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઈન્દોરને પછાડીને આ ત્રણેય શહેરો ભારતના સૌથી મોટા અને સ્વચ્છ શહેરો તરીકે ઊભરી આવ્યા છે. ખાસ કરીને અમદાવાદે પ્રથમ સ્થાન હાંસલ કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અમદાવાદ પ્રથમ ક્રમે, ભોપાલ બીજે અને લખનૌ ત્રીજે
સર્વેક્ષણના પરિણામ મુજબ અમદાવાદ પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ભોપાલ બીજાં અને લખનૌ ત્રીજા ક્રમે છે. આજે આપણે જાણીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમલમાં મુકાયેલી કઈ ખાસ નીતિઓએ શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
દિવસમાં બે વખત સફાઈ – 12,500 કામદારો સતત સેવા પર
અમદાવાદ, જે ભારતનું સાતમું સૌથી મોટું શહેર છે, તેની સફાઈની સંપૂર્ણ જવાબદારી AMC નિભાવે છે. શહેરના તમામ રસ્તાઓ રોજ સવારે 6:30 થી 11:30 અને બપોરે 3:00 થી 6:00 દરમિયાન 12,500 થી વધુ સફાઈ કામદારો દ્વારા સાફ કરવામાં આવે છે.
ઘરે ઘરે જઈ કચરો એકત્રિત કરતા 600 થી વધુ વાહનો
શહેરમાંથી દરરોજ 4000 મેટ્રિક ટન ઘન કચરો નીકળી આવે છે, જેનું નિયમિત સંચાલન AMC કરે છે. તેમાંના લગભગ 50% કચરો ડસ્ટબિન અને રોડ સાફ કરતી કામગીરી દ્વારા એકત્રિત થાય છે. ઘરોમાંથી કચરો એકત્રિત કરવા માટે 600 થી વધુ ઓટો ટિપર વાહનો શહેરભરમાં વહન કરે છે. સવારે 7 વાગ્યાથી રોજિંદા આ વાહનો 1.4 લાખથી વધુ ઘરોમાંથી 1300 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરે છે. આ કચરો ટ્રાન્સફર સ્ટેશન દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા GPS માધ્યમથી મોનિટર થાય છે.
જાગૃતિ અભિયાન અને તાલીમ કાર્યક્રમો
AMC દ્વારા શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ અનેક પહેલો કરવામાં આવી. શહેરમાં IEC (Information, Education & Communication) પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. તેમાં વોર્ડ સ્તરે સમિતિઓ રચવી, જૂથ ચર્ચાઓ યોજવી, ટૂંકી ફિલ્મો દ્વારા શાળાઓ અને જાહેર સ્થળોએ જાગૃતિ ફેલાવવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સાથે સાથે AMCના કર્મચારીઓ અને કાઉન્સિલરો દ્વારા નાગરિકોને તાલીમ પણ આપવામાં આવી.
AMCની યોજનાબદ્ધ કામગીરી, ટેક્નોલોજીના સક્ષમ ઉપયોગ અને નાગરિકોની સહભાગિતાએ અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણ-2024માં દેશનું નંબર-1 શહેર બનાવ્યું છે. આ સફળતા માત્ર AMCની નહીં પણ દરેક અમદાવાદી નાગરિકના સહયોગ અને જવાબદારીનો પરિણામ છે.
