આનંદ નિકેતન સ્કૂલ વિવાદ, રાષ્ટ્રગાન અને પુસ્તકોના આક્ષેપો પર બજરંગ દળનો ઉગ્ર વિરોધ, જુઓ Video
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદમાં આવી છે, જ્યાં બજરંગ દળે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. સ્કૂલ મેનેજમેન્ટ પર રાષ્ટ્રગાન બંધ કરવા અને વાલીઓને ચોક્કસ પુસ્તકો ખરીદવા દબાણ કરવાનો આરોપ છે.

અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદોના વંટોળમાં ફસાઈ છે. તાજેતરમાં બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો કરીને પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બજરંગ દળના આગેવાનોનો મુખ્ય આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રગાન બંધ કરવામાં આવ્યું છે અને વાલીઓ પર ચોક્કસ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે.
બજરંગ દળના કાર્યકરોએ માંગણી કરી છે કે આ શૈક્ષણિક સંસ્થામાં “ઇસ્લામિક પ્રચાર પ્રસાર” બંધ થાય અને “ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને” દૂર કરવામાં આવે. તેમની મુખ્ય માંગણીઓમાં શાળામાં ફરીથી પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવાની વાત સામેલ છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન, જ્યારે સ્કૂલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે કેટલાક કાર્યકરો ગેટ કૂદીને સ્કૂલ પરિસરમાં પ્રવેશ્યા હતા અને કથિત રીતે તાળાં તોડી નાખ્યા હતા. સ્કૂલ પરિસરમાં વધતા જતા તણાવ અને હોબાળાને જોતા બોડકદેવ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં હતી, જ્યારે સ્કૂલના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવતા વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. નવા આક્ષેપો અને વિરોધને કારણે વાલીઓ અને સંગઠનનો ગુસ્સો વધુ ભડક્યો છે. આ સમગ્ર ઘટનાને કારણે સ્કૂલ મેનેજમેન્ટ અને વિરોધ કરી રહેલા સંગઠન વચ્ચે તણાવ વધુ વધ્યો છે.
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
