અમદાવાદમાં લેણદારોએ મશીનરી વેચી પૈસા વસૂલવાની ધમકી આપી, વેપારીનો કારખાનામાં આપઘાત, 2ની ધરપકડ
લેણદારોએ આપી ધમકીઓ. કહ્યુ, દિવાળી પહેલા તું અમારા પૈસા નહીં ચૂકવે તો તારા કારખાને આવીને મશીનો વેચી અમારા પૈસા લઈ લેશું. તેમજ તારી સોસાયટીમાં તને બધાની વચ્ચે બેઇજ્જત કરશું. આબરુ જવાના ડરથી લાગી આવતા વેપારીએ કારખાનામાં જ કર્યો આપઘાત.આપઘાત કરતા અગાઉ વેપારીએ સ્યુસાઈડ નોટ લખી હતી. જેના આધારે હવે પોલીસે તપાસ હાથ ધરીને બે આરોપીઓને ઝડપ્યા છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક વેપારીએ લેણદારોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું બનાવો સામે આવ્યો છે. એમ્બ્રોડરી મશીનના વેપારીએ પોતાના જ કારખાનામાં આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તેમણે સ્યુસાઈડ નોટ પણ લખી હતી. અન્ય એમ્બ્રોડરીના વેપારીઓ કે જેઓ રૂપિયાની માંગણી કરતા હતા.
આ પણ વાંચોઃ બાયડમાં મામલતદાર સામે અપક્ષ MLAની દાદાગીરી, જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા અધિકારીઓને અટકાવ્યા
પરંતુ તે સમયસર નહીં આપી શકતા વેપારીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી. આ ધમકીઓથી લાગી આવવાને કારણે એમ્બ્રોડરીના વેપારીએ પોતાના જ કારખાનામાં આપઘાત કરી લીધો હતો. આ મામલે હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને મયુર એસ્ટેટમાં એમ્બ્રોડરી મશીનનું કારખાનું ધરાવતા હાર્દિક સોરઠીયાએ પોતાના જ કારખાનામાં આપધાત કરી લીધો હતો. મૃતક હાર્દિક સોરઠીયાને પોતાના ધંધામાં દેવું થઈ ગયું હતું. જોકે તેમનો ધંધો એમ્બ્રોડરીના વેપારીઓ સાથે જ હતો. મૃતક હાર્દિકને અલગ અલગ જગ્યાએથી ચાર લાખ રૂપિયા લેવાના હતા, જેની સામે તેને 15 લાખ રૂપિયા જેટલા નાણા ચૂકવવાના પણ હતા.
ફોન કરી આપતા ધમકી
મૃતક હાર્દિકને જે વેપારીઓને નાણાં ચૂકવવાના હતા તેઓ તેમની પાસે અવારનવાર પૈસાની ઉઘરાણીઓ કરતા હતા.સમગ્ર દેવાની વાત હાર્દિકે તેમના પિતાને કરી હતી. તેમના પિતાએ પણ આ વેપારીઓ પાસે પૈસા ચૂકવવા બાબતે સમય માંગ્યો હતો. પરંતુ વેપારીઓ દ્વારા સમય આપવામાં આવ્યો ન હતો અને આ વેપારીઓએ હાર્દિક પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતાં. પૈસા માંગતા વેપારીઓ હાર્દિકના કારખાને આવી અને ફોનમાં ઘમકીઓ આપતા હતા.
દિવાળી બગાડવાનો બતાવતા હતા ડર
વેપારીઓ ધમકી આપી હતી કે જો તેઓ સમયસર રૂપિયા નહીં આપે તો દિવાળી સમયે તેમના એમ્બ્રોડરી મશીનો વેચી દેશે. તેઓ જે રૂપિયા લઈ લેશે તેમજ સોસાયટીમાં જાહેરમાં તેમને બદનામ કરશે જેથી લાગી આવતા હાર્દિકે કારખાનામાં આપઘાત કર્યો હતો. હાર્દિક સોરઠિયાના આપઘાત બાદ તેના પિતાએ નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કલ્પેશ ગજેરા, નીરજ ગજેરા, જીગ્નેશ માધાણી, દીપક ભાદાણી અને જગદીશ બલર નામના એમરોડરીના વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ પાંચેય વેપારીઓ દ્વારા મૃતક હાર્દિક પાસે પઠાણી ઉઘરાણી કરી પૈસાની માંગણી કરતા હતા. જોકે હાર્દિક અને તેમના પિતા પૈસા આપવા તૈયાર હતા જેના બદલામાં થોડો સમય માંગ્યો હતો. પરંતુ આ વેપારીઓ દ્વારા સમય આપવામાં આવ્યો ન હતો અને ધાક ધમકીઓ આપવામાં આવી હતી. જેને કારણે હાર્દિકે કારખાનામાં આપઘાત કરી લીધો હતો. હાલ તો સમગ્ર મામલે પિતા દ્વારા આપઘાત મામલે દુષ્પપ્રેરણનો ગુનો નોંધાવ્યો છે જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.