Ahmedabad : જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઉંચા ઉમિયા મંદિરના 1440 પિલરનું બાંધકામ પૂર્ણ, શિવમહાપૂરાણનું આયોજન
Ahmedabad: અમદાવાદમાં જાસપુરમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી ઉંચા ઉમિયા મંદિરના 1440 પિલરનું બાંધકામ પૂર્ણ થયુ છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા અમદાવાદના ઘાટલોડિયામાં શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.
![Ahmedabad : જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઉંચા ઉમિયા મંદિરના 1440 પિલરનું બાંધકામ પૂર્ણ, શિવમહાપૂરાણનું આયોજન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/umiyadham.jpg?w=1280)
Ahmedabad: વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિરના 1440 પિલ્લરનું બાંધકામ પૂર્ણ થતાં વિશ્વ ઉમિયાધામ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. વિશ્વઉમિયાધામ દ્વારા આયોજિત આ શિવ મહાપુરાણ ઘાટલોડિયા ખાતે યોજાશે.
પવિત્ર શ્રાવણ માસ મનોવાંછિત ફળ આપનારા ભગવાન શિવનો માસ છે. ત્યાગ, તપસ્યા, વાત્સલ્ય અને કરૂણાની મૂર્તિ એવા ભોલેનાથના દિવ્ય પ્રસંગોનું શ્રવણ કરવાથી આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય છે, સકારાત્મકતા વધે છે. જે શક્તિ અને ઊર્જામાં રૂપાંતર થાય છે. જેને લઈ વિશ્વઉમિયાધામ દ્વારા અમદાવાદના ઘાટલોડિયામાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે.
ભગવાન શિવને ભક્તિ ભાવથી ભજવા અને તેમની પવિત્ર મહિમાનું શ્રવણ કરી, જીવનમાં ધન્યતાનો અનુભવ કરવાનો અમૂલ્ય લાભ ભક્તજનોને પ્રાપ્ત થાય. ત્યારે આજે વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ શિવપુરાણ કથાના પ્રથમ દિવસે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું. કથાના મુખ્ય યજમાન બબાભાઈ ભરવાડના ઘરેથી મા ઉમિયાની પાલખી યાત્રા અને પોથીયાત્રા નીકળી હતી. ત્યારબાદ પૂજ્ય કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી શિવપુરાણના પ્રથમ અધ્યાયનું રસાપન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ભાજપના મહામંત્રી રજની પટેલ, યુવા નેતા ઋત્વિજ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
વિશ્વ ઉમિયાધામએ માત્ર પાટીદારોનું જ નહીં સર્વસમાજનું શક્તિનું કેન્દ્રઃ આર.પી.પટેલ
શિવમહાપુરાણ કથાના કાર્યક્રમ અંગે વાત કરતા સંસ્થા પ્રમુખઆર.પી.પટેલ જણાવે છે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઉંચુ મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયધામએ માત્ર પાટીદારોનું જ નહીં સર્વસમાજની શક્તિનું કેન્દ્ર છે. વિશ્વઉમિયાધામ એ માત્ર મંદિર નહીં પરંતુ સ્પોર્ટ્સ, NRI કેન્દ્ર અને રોજગાર કેન્દ્રનું પણ સ્થાન છે. આ સાથે જ ધરતીનો એક આગવો ઈતિહાસ લખાઈ રહ્યો છે, જ્યાં વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગતજનની મા ઉમિયાનું શક્તિ મંદિર 1440 ધર્મસ્તંભ ઉપર નિર્માણ થઈ રહેલ છે અને ધર્મસ્તંભનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયેલ છે, ત્યારે વિવિધ સમાજમાંચી ધર્મસ્તંભના દાતા બનવાનું સૌભાગ્ય 1205 જેટલા દાતાઓ પ્રાપ્ત કરીને મા ઉમિયાના કૃપાપાત્ર બન્યા છે, જેઓએ ધર્મસ્તંભ પેટે રૂ. 15 લાખ અને 11 લાખનો સહયોગ નોંધાયો છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો