જાણીતા ગુજરાતી ગાયક વિજય સુંવાળા સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના જમીન દલાલ દિનેશ દેસાઇએ વિજય સુંવાળા સહિત 30 લોકોના ટોળા સામે જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. બંને પક્ષકારો વચ્ચે વર્ષ 2020થી મનદુખ ચાલી રહ્યું હતું. આજ મનદુખને પગલે બબાલ થયાની આશંકા સેવાઇ રહી છે. ફરિયાદી દિનેશ દેસાઇનો આરોપ છે કે મનદુખમાં સમાધાનની વાતો વચ્ચે વિજય સુવાળાએ પોતાના માણસો સાથે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો.
ફરિયાદી દિનેશ દેસાઈના જણાવ્યા મુજબ 18 ઓગસ્ટની રાત્રે 11.30 આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઈક સાથે 40 લોકોનું ટોળુ લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે આવ્યા હતા. ઓફિસ પર તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો.
તો બીજી તરફ વિજય સુંવાળાએ તમામ આરોપો ફગાવ્યા છે. સુંવાળાએ વળતો આરોપ લગાવ્યો છે કે ફરિયાદી દિનેશ દેસાઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારી પાસેથી ખંડણી માગતો હતો અને મને ધમકી આપતો હતો કે મારી સત્તા, મારી પહોંચ ઉંચે સુધી છે, હું ગમે તે કરીશ, તને ગમે ત્યાં ફસાવી દઈશ, તારા કાર્યક્રમો બંધ કરાવી દઈશ. સુંવાળાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે દિનેશ દેસાઈ સુવાળાના સમાજની દીકરીઓને અવારનવાર હેરાન કરતો હતો, આ અંગેની ફરિયાદ મારી પાસે આવતા મે સામાજિક કાર્યકરોને સમજાવટ માટે તેને ત્યાં મોકલ્યા હતા. આ વાત તેને ખટક્તા મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવુ ન જોઈએ. સુંવાળાએ વધુમાં જણાવ્યુ કે સત્તાનો દુરુપયોગ કરી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ દિનેશ દેસાઈએ વિજય સુંવાળા અને તેમના ભાઈ સહિત 40 લોકો સામે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.
Input Credit- Harin Matravadiya, Ronak Varma
Published On - 7:04 pm, Thu, 22 August 24